Rajkot News:રાજકોટ-મોરબી જિલ્લાના વન વિભાગની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી પ્રવીણ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ તથા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્ય સરકારની (State Government) વિવિધ યોજનાઓ અને વન સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ધાર્મિક સ્થળોના 500 મીટરની પરિધિમાં વાંસ વાવેતર કરવાની સરકારની યોજનાને અમલમાં લાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રોડ રી-સરફેસ માટે હવે ફોરેસ્ટ મંજૂરી જરૂરી નથી
રાજ્યમંત્રીએ (Minister of State) સ્પષ્ટતા કરી હતી કે રોડ રી-સરફેસિંગના કામ માટે હવે વન વિભાગની મંજૂરી લેવાની જરૂર નથી. સાથે જ સામાજિક વનીકરણ માટે જમીન ફાળવણી અંગે કરવામાં આવેલી રજૂઆતો પર પણ ચર્ચા થઈ હતી. વન સંરક્ષણ કાયદા અંતર્ગત કુલ 30 જમીન દરખાસ્તો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. ઉપરાંત શક્તિવન જાળવણી, ગ્રામ્ય માર્ગ વિસ્તરણ જેવા મહત્વના મુદ્દાઓ પર પણ અધિકારીઓ સાથે વિચારવિમર્શ થયો હતો.
AIMMS, બસ સ્ટેન્ડ, સરકારી જમીન મામલે કાર્યવાહીની સૂચના
બેઠકમાં AIMMS, બસ સ્ટેન્ડ તથા સરકારી જમીન સંબંધિત મુદ્દાઓમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે રાજ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. રાજ્યમંત્રીએ વન સંરક્ષણ સાથે વિકાસ કાર્યમાં સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

