નવી દિલ્હી,
ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલ બિહારી વાજપેયી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા આને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.
એમ્સ હોસ્પિટલ દ્વારા બુલેટિન જાહેર કરીને અટલ બિહારી વાજપેયીના નિધન અંગેની જાણકારી આપી હતી.
અટલ બિહારી વાજપેયીની તબિયત વધુ નાજુક હોવાના કારણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, પીએમ મોદી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ સહિત સરકારના અનેક કેન્દ્રીયમંત્રીઓ એમ્સમાં તેઓના હાલ ચાલ જાણવા માટે પહોચ્યા હતા.
પૂર્વ વડાપ્રધાનના થયેલા નિધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કરતા જણાવ્યું, “ભૂતપૂર્વ વડા પ્રધાન અને એક સાચા ભારતીય રાજદૂત શ્રી અટલ બિહારી વાજપેયીના નિધનની વાત સાંભળીને અત્યંત દુઃખ અનુભવી રહ્યો છું. તેઓએ તેમના નેતૃત્વ, પરિપક્વતા અને વક્તૃત્વને હંમેશા આગળ મુક્યા છે. અટલજી જેન્ટલ અને જાયન્ટ હતા,તેઓ કોઈ પણ દ્વારા ભૂલી શકાય એમ નથી”.
પીએમ મોદીએ અટલ જીના નિધન અંગે જણાવતા કહ્યું, “મારી પાસે કોઈ શબ્દ નથી, હું શોકની લાગણી અનુભવી રહ્યો છું. તેઓએ પોતાના જીવનની એક એક પળ રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે”.
આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ – મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ વડાપ્રધાન અટલજીના અંતિમ દર્શન માટે રાજધાની દિલ્હી જવા રવાના થયા છે.
અટલ બિહારી વાજપેયીના કેરિયરની વાત કરવામાં આવે તો, તેઓ એક સફળ રાજનેતા, પત્રકાર હોવાની સાથે એક કવિ પણ હતા. તેઓ હંમેશા પોતાના ભાષણોમાં પોતાની કવિતાઓ બોલતા હતા
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ડિમેન્શિયા નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને આજથી ૯ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૯થી જ તેઓ વ્હીલચેર પર છે.
અટલ બિહારી વાજપેયીનું પોલિટિકલ કેરિયર
તેઓના પોલિટિકલ કેરિયરની વાત કરવામાં આવે તો, ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ જન્મેલા અટલ બિહારી વાજપેયીએ ભારત છોડો આંદોલન દ્વારા ૧૯૪૨માં દેશની રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.
અટલ બિહારી વાજપેયી ૧૯૯૧,૧૯૯૬,૧૯૯૮,૧૯૯૯ અને ૨૦૦૪માં લખનઉ લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. બીજી બાજુ એક ગૈર-કોંગ્રેસી નેતા તરીકે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત કરનારા તેઓ દેશના પહેલા પ્રધાનમંત્રી હતા.