રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આ અકસ્માતના બનાવમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર મિત્રના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, આઈસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા હોમગાર્ડ 4 મિત્રોના અકસ્માતમાં મોત થયા છે. આ ઘટનામાં 4નાં કરુણ મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસદ્વારા ફરિયાદને આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :મધરાત્રે અઢી કલાકના અંતરમાં બે થી વધુની તીવ્રતાના 3 ભૂકંપના આંચકા અનુભવાયા
કપડવંજ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાસે શુક્રવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીંથી પસાર થતી કેળા ભરેલી આઈસર ટ્રક (નં. RJ-06-GB-1433) અને કાર (નં. GJ-07-DA-8318) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહન સામસામી ધડાકાભેર અથડાતાં કારનો લોચો વળી ગયો હતો. અકસ્માત બાદ આઈસર ટ્રકચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો : સુરતમાં કોરોના ફરીથી થયો બેકાબુ, કેસ વધતા બે રહેણાંક અપાર્ટમેન્ટને કરાયા સીલ
આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારના ભૂક્કા બોલાઈ ગયા હતા. ઘટનામાં ચાર મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો એક મિત્ર ઈજાગ્રસ્ત થયો છે. તમામ મૃતદેહોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા જ કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતકોના પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળના ટોળેટોળા ઉમટયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલી તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે. જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે કપડવંજ પંથક પાસે જ તેમને અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો :અમિત જેઠવા હત્યાકેસમાં આ પૂર્વ સાંસદને મળી રાહત, HCનો જામીન પર છોડવા હુકમ
હાલ મૃતકોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં પોસ્ટમોર્ટમ કરી તેમના મૃતદેહ પરિવારને સોપી દેવામાં આવશે. આ સાથે જ કપડવંજ ગ્રામ્ય પોલીસના પીઆઈ જે. કે. રાણા દ્વારા જાણવા મળ્યું છે કે, આ અંગે ગુનો નોંધવાની કામગીરી પણ કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
મૃતકોનાં નામ:
- શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં.વ. 33)
- રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ. 55)
- નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ. 35)
- મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48)