Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લામાં લોકકલાકાર દેવાયત ખવડ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ‘મોરે મોરો’ કેસમાં હુમલાના આરોપસર ધરપકડ કરાયેલા દેવાયત ખવડ અને તેના સાત સાથીઓને વેરાવળ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવાનો આદેશ આપતા સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે. કોર્ટના આદેશ મુજબ તમામ આરોપીઓને રૂ.15,000ના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
આ કેસમાં તાલાલા પોલીસે દેવાયત ખવડના 7 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી નામંજૂર કરી દીધી અને તમામ આરોપીઓને જામીન પર મુક્ત કર્યા. આ સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાની સમક્ષ સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે દલીલોનો તોફાન કલાકો સુધી ચાલ્યો હતો.

કોર્ટમાં થયેલ દલીલો
સરકારી વકીલે આરોપીઓ સામે ગંભીર આક્ષેપ મૂકી તેમનો પોલીસ રિમાન્ડ જરૂરી હોવાનું કહ્યું. બીજી તરફ આરોપીઓના વકીલે એ.જે. વિરરાએ દલીલ કરતાં જણાવ્યું કે આરોપીઓને તેની ધરપકડના યોગ્ય કારણો જણાવવામાં આવ્યા નથી, જે બંધારણના આર્ટિકલ 22(b)નું ઉલ્લંઘન છે. વિરરાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો હવાલો આપતા દલીલ કરી કે આ કેસમાં પોલીસ રિમાન્ડની જરૂર નથી અને આરોપીઓને જામીન પર મુક્ત કરવું જોઈએ.
કોર્ટએ બંને પક્ષની દલીલો સાંભળીને રાત્રે 9:45 વાગ્યે ચુકાદો આપ્યો. દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓને જામીન મંજુર કરવામાં આવ્યા. જોકે પોલીસ સૂત્રો અનુસાર આ જામીનના આદેશને રદ કરવા માટે કાલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે.

દેવાયત ખવડની ધરપકડ
દેવાયત ખવડ અને તેના સાથીઓને સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દૂધઈ ગામના એક ફાર્મહાઉસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પાંચ દિવસથી ફરાર દેવાયતને પોલીસે ચોક્કસ માહિતીના આધારે ઘેરી પાડ્યો. ધરપકડ બાદ આરોપીઓને ગીર સોમનાથ SP ઓફિસ ખાતે લઈ જવાયા હતા.
પોલીસે જણાવ્યું કે આ હુમલાના કેસમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ કાર વડે ટક્કર મારીને, હથિયારો બતાવીને હુમલો કર્યો હતો અને લૂંટ ચલાવી હતી. ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે દેવાયત ખવડના માણસોએ તેની સોનાની ચેઇન અને રોકડ રકમ પણ લૂંટી લીધી હતી.
લોકઅપમાં દેવાયત
જામીનના આદેશ પહેલા દેવાયત ખવડને તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. અહીં તેને પોલીસના સરકારી ભોજનમાં દાળ-ભાત અને પાઉં-ભાજી આપવામાં આવ્યા હતા. દેવાયતે લોકઅપમાં જ ભોજન લીધું અને રાત્રે આરામ કર્યો.

જૂનો વિવાદ
આ હુમલાનું મૂળ કારણ જૂના વિવાદમાં હોવાનું પણ સામે આવ્યું છે. સનાથલ ગામમાં એક ડાયરાના કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડ અને ફરિયાદી જૂથ વચ્ચે વિવાદ થયો હતો. સોશિયલ મીડિયામાં એકબીજાને આક્ષેપો અને વીડિયો મૂકાતા તણાવ વધ્યો હતો. બાદમાં આ વેરઝેર હુમલામાં ફેરવાયો હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ છે.
દેવાયતનો ગુનાહિત ઇતિહાસ
દેવાયત ખવડ અગાઉ પણ અનેક કેસોમાં ફસાઈ ચૂક્યો છે. રાજકોટમાં હત્યાના પ્રયાસ, છેતરપિંડી, આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ થયા છે. ઉપરાંત સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ, બ્રિજરાજદાન ગઢવી, મયૂરસિંહ રાણા સહિતના લોકો સાથે તેના વિવાદો ટ્રેન્ડમાં આવ્યા હતા. દેવાયતના નિવેદનોને કારણે તેઓ ઘણીવાર વિવાદમાં આવતાં રહ્યા છે.
પોલીસની આગળની કાર્યવાહી
પોલીસે આ કેસમાં 7 આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની સામે BNS તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુના દાખલ કર્યા છે. આરોપીઓની ઓળખ પરેડ, હથિયારોની તપાસ, સોશિયલ મીડિયા પર મૂકાયેલા સ્ટેટસ તથા વીડિયો અંગેની તપાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે.
દેવાયત ખવડની જામીન મુક્તિ સાથે જ આ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે. પોલીસે હજી આગળની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરી છે. કોર્ટનો આદેશ એક તરફ આરોપીઓ માટે રાહતરૂપ છે, જ્યારે પોલીસ માટે પડકારરૂપ છે. હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં આ કેસ કઈ દિશામાં આગળ વધે છે અને દેવાયત ખવડ તથા તેના સાથીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાય છે કે નહીં.
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા,21મીએ વધુ સુનાવણી
આ પણ વાંચો: National News/જેલની બહાર આસારામ ક્યાં રહે છે, જાણો કયા રોગ માટે તેની સારવાર થઈ રહી છે?
આ પણ વાંચો: Narayan sai/આસારામના પુત્ર નારાયણ સાંઈની પાંચ દિવસની જામીન અરજી મંજૂર

