સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગના મુદ્દે ફેસબુક અને ગુગલ અધિકારીઓએ મંગળવારે માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો. સમિતિએ ફેસબુક અને ગુગલના અધિકારીઓને સમન્સ પાઠવ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર આ સમિતિના અધ્યક્ષ છે. આ બેઠકમાં સમિતિએ આ બંને કંપનીઓને નવા આઇટી નિયમો અને દેશના કાયદાનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે.
સમિતિ સમક્ષ ભારતના ફેસબુકના જાહેર નીતિ નિયામક શિવનાથ ઠુકરાલ અને જનરલ કાઉન્સેલ નમ્રતા સિંહે વાત કરી હતી. સંસદીય સમિતિની બેઠકનો એજન્ડા નાગરિકોના હકોનું રક્ષણ કરવા અને સોશિયલ મીડિયા ઓનલાઇન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગને અટકાવવાનો છે.
અગાઉ ફેસબુકના પ્રતિનિધિઓએ સંસદીય સમિતિને માહિતી આપી હતી કે તેમની કંપની નીતિ તેમના અધિકારીઓને કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં લઇને પ્રત્યક્ષ બેઠકમાં હાજર રહેવાની મંજૂરી આપતું નથી. જો કે, સમિતિના અધ્યક્ષ થરૂરે ફેસબુકને કહ્યું હતું કે સંસદીય સચિવાલય ડિજિટલ મીટિંગોને મંજૂરી ન આપતું હોવાથી તેના અધિકારીઓએ બેઠકમાં ભાગ લેવો પડશે.
સંસદીય સમિતિ આવતા અઠવાડિયે યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓને બોલાવશે. ફેસબુક અને ગુગલના પ્રતિનિધિઓને બોલાવવા પહેલાં, ટ્વિટર અધિકારીઓ સમિતિ સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કર્યા . છેલ્લી મીટિંગમાં સમિતિના અનેક સભ્યોએ ટ્વિટર પર સ્પષ્ટ કર્યું હતું કે દેશનો કાયદો સર્વોચ્ચ છે, તેની નીતિઓનો નથી.