ગુજરાત સરકાર દ્વારા આજથી ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂનથી 17માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાનની શરુઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાનાં વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જેનાં ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચણીનાં અધ્યક્ષસ્થાને લીંબડી તાલુકાની નાની કઠેચી અને મોટી કઠેચીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રથમ દિવસે જિલ્લામાં 3305 કુમાર અને 3128 કન્યાઓ મળીને કુલ 6433 બાળકોનું નામાંકન કરી શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો છે.
નાની કઠેચીના આંગણવાડી કેન્દ્ર નં-૧માં ૧૦ અને કેન્દ્ર નં-૨માં ૧૧ બાળકો જયારે કન્યા શાળાની આંગણવાડીમાં ૫૨ બાળકો અને મોટી કઠેચી આંગણવાડી કેન્દ્રમાં કુલ ૩૬ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
ધોરાણ-૧માં નાની કઠેચી કુમાર શાળામાં ૩૫ બાળકો, નાની કઠેચી કન્યા શાળામાં ૪૫ બાળકીઓ અને મોટી કઠેચી શાળામાં કુલ ૪૬ બાળકો મળીને કુલ 126 બાળકોએ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પ્રવેશ મેળવનાર બાળકોને વ્હાલથી આવકાર આપતા જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અભિયાનની શરૂઆત થયા બાદ નામાંકનમાં વધારો અને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો નોંધાયો છે.
શિક્ષણ બાળકોનો મૂળભૂત હક છે અને રાજ્યનાં દરેક ગામનું દરેક બાળક શિક્ષણની સારી સુવિધાઓ મેળવે તે માટે સરકાર કટિબધ્ધ છે. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત બાળકોનાં વાલીઓ અને શિક્ષકો સાથે પ્રાથમિક શાળામાં સો ટકા નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. વધુમાં તેમણે શિક્ષકો અને SMCનાં સભ્યો પાસેથી ગામમાં બાળકો માટે ઉપલબ્ધ શિક્ષણ સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.
કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ નાં હસ્તે પ્રવેશ પામનાર બાળકોને સ્કૂલ બેગ સહિતની શિક્ષણ કીટ અને રમકડાનું તેમજ ધોરણ ૮ પાસ કરી ધોરણ ૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરાયુ હતુ.
આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર. ડી. પાંચાણીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાઓમાં સો ટકા નામાંકન થાય અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે એ માટે આપણે આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ. શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માંન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ આઝાદી કા અમૃત મહોત્સવ, બેટી બચાવો , પર્યાવરણ, જળ એ જ જીવન સહિતનાં વિષયો પર વક્તવ્યો, વિચારો રજુ કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણી સર્વેશ્રી ઘનશ્યામભાઈ ધરજીયા, વાલજીભાઈ, બકુલભાઈ, હિંમતભાઈ, રણછોડભાઇ તેમજ શાળાના આચાર્યો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આવતીકાલે કેબિનેટ મંત્રી પ્રવેશોત્સવમાં સહભાગી થશે
પ્રવેશોત્સવનાં બીજા દિવસે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા આવતીકાલે તા. 24 જૂનનાં રોજ વઢવાણ તાલુકાની વાડલા, કોઠારિયા અને દેદાદરા ગામની તેમજ તા. 25 જૂનનાં રોજ લખતર તાલુકાની તલસાણા, ભડવાણા તથા લખતર જુગતરામ દવે પે સેન્ટર શાળાની મુલાકાત લઇ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થશે. આ ઉપરાંત, જિલ્લા પ્રભારીમંત્રી અને પશુપાલન રાજ્ય મંત્રીશ્રી દેવાભાઈ માલમ તા. 24 જૂનનાં રોજ ચોટીલા તાલુકાની મોટી મોલડી -પે સેન્ટર ઠાગેશ્વર, પીપળીયા(ઘા), ઝીંઝુડા પે સેન્ટર શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવશે.