દિલ્હી એમસીડીની ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે પોલથી વિપરીત પાછળ પડતા આપે કદાચ સત્તા હાથમાં ન આવે તો પહેલેથી કઈ લાઇન અપનાવી તે સ્પષ્ટ કરી લીધું છે. આપના પ્રવક્તાએ પણ પક્ષના આ વલણનો પડઘો પાડતા હોય તેમ કહ્યુ છે કે દિલ્હી એમસીડીના પોસ્ટલ બેલોટ એટલે કે સરકારી કર્મચારીઓના મત આપની વિરોધમાં અને ભાજપની તરફેણમાં ગયા છે. દિલ્હીની પ્રજા તો આપની સાથે જ છે, પરંતુ સરકારી કર્મચારીઓને ભાજપ બદલાનું રાજકારણ રમે તે ડર હોવાના લીધે તેમણે ભાજપની તરફેણમાં મત આપ્યા છે.
તેમણે કહ્યું હતું કે અમે એક સમયે માન્યું હતું કે સરકારી કર્મચારીઓ અમને મત આપશે, પરંતુ હવે અમને સમજાય છે કેન્દ્રમાં પણ ભાજપની સત્તા છે અને જો તેમણે જો વર્તમાન સત્તાને મત ન આપ્યો તો સરકારી કર્મચારીઓની સ્થિતિ પછી વસમી થશે તે પ્રકારના ડરના ઓછાયા હેઠળ ભાજપને મત આપ્યો છે. બીજા શબ્દોમાં તેમનું કહેવું હતું કે સરકારી કર્મચારીઓએ ડરીને ભાજપની તરફેણમાં મતદાન કર્યુ છે.
રાજકીય નિષ્ણાતો આપના આ વલણને પાણી પહેલા પાળ બાંધવાની સ્થિતિ પણ ગણાવે છે. જો કે આમ છતાં પણ આપે હજી પણ 180થી વધારે બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમનું માનવું છે કે દિલ્હીની સત્તા પરિવર્તન ઇચ્છે છે. ભાજપે દિલ્હીમાં રચેલા કૂડાના પહાડથી લોકો કંટાળી ગયા છે.
જ્યારે ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ આપ હારવા લાગે છે ત્યારે પહેલા તો ચૂંટણી પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવે છે, ઇવીએમ પર સવાલ ઉઠાવે છે અને હવે સરકારી કર્મચારીઓમાં ડર છે તેવો સવાલ ઉઠાવે છે. પણ જનચુકાદો જે આવે તે સ્વીકારે લે. અમે ક્યાં ના પાડી છે. જો દિલ્હીની જનતા એમસીડીમાં અમારા પંદર વર્ષના શાસન પછી અમને વિપક્ષમાં બેસાડવા તૈયાર હોય તો પણ અમે બેસીશું અને સત્તા પર બેસાડવા તૈયાર હોય તો પણ અમે બેસીશું. અમે ચૂંટણી પ્રક્રિયા સામેના બ્હાના નહી કાઢીએ.
આ પણ વાંચોઃ