Nadiad News: નડીયાદના જાણીતા પાર્ટીપ્લોટ પરના દરોડામાં GST વિભાગને સફળતા મળી. લગ્ન સીઝનમાં 100 કરોડના બેનામી વ્યવહારો મળ્યા. દરોડામાં કરવામાં આવેલ તપાસમાં પાર્ટીપ્લોટ દ્વારા કરોડોના બેનામી વ્યવહારો થયા હોવાનું ખુલ્યું. દિવાળી બાદ રાજ્યમાં લગ્ન સીઝનનો માહોલ હતો. અને લગ્નસરાની સિઝનમાં પાર્ટીપ્લોટની ધીકતી કમાણી થઈ હોવા છતાં કરચોરી કરી હતી. હાલમાં GST વિભાગ દ્વારા અચાનક પાર્ટીપ્લોટો પર દરોડાની કામગીરી હાથ ધરાઈ. આ દરોડોમાં કરોડોના બેનામી વ્યવહાર થયા હોવાની માહિતી મળી. જેના બાદ હવે GST વિભાગ નડિયાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોના પાર્ટીપ્લોટ પર તપાસ હાથ ધરશે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી.
અમદાવાદના GST વિભાગ દ્વારા બે દિવસ અગાઉ નડીયાદના મોટા અને જાણીતા પાર્ટી પ્લોટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા અચાનક શહેરના ધ ગ્રાન્ડ ચેતક અને સંગાથ પાર્ટી પ્લોટમાં નાણાંકીય વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. અગાઉ GST વિભાગ દ્વારા આણંદમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મોટા બેનામી વ્યવહારો થયા હોવાનું ખૂલતા નડીયાદના બે પાર્ટી પ્લોટ પર દરોડા પાડ્યા. અને બંને પાર્ટીપ્લોટમાં લગ્ન સીઝનમાં કરોડોના બેનામી વ્યવહાર થયો હોવાનું જાણવા મળ્યું. પાર્ટીપ્લોટ માલિકો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લીધા બાદ કરચોરી કરે છે.
ખોટા ખર્ચ બતાવી પોતાની તિજોરી ભરનાર પાર્ટી પ્લોટના માલિકો સામે વહીવટીતંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા. નડીયાદના બે જાણીતા પાર્ટીપ્લોટમાં GST વિભાગને સફળતા મળતા હવે વિવિધ શહેરોમાં 30થી વધુ પાર્ટી પ્લોટ પર તપાસની કામગીરી કરશે. ખાસ કરીને સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના પાર્ટીપ્લોટના નાણાકીય વ્યવહારોની તપાસ કરાશે. અનેક પ્લોટધારકોએ ટેક્સ નહીં ચૂકવ્યો હોવાનું સામે આવ્યા બાદ તંત્ર કડક બન્યું. પાર્ટીપ્લોટ ઉપરાંત હવે GST વિભાગ પાનેતર, શેરવાની સહિતના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરશે. હજુ 30થી વધુ પાર્ટીપ્લોટ GST વિભાગના નિશાના પર છે.
આ પણ વાંચો: નડીયાદમાં વીજ કરંટથી 15 વર્ષીય કિશોરનું મોત
