અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત રાજ્યમાં આત્મહત્યાના બનાવો દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોઈને કોઈ વ્યક્તિ પોતાની આર્થિક, સામાજિક કે શારીરિક સમસ્યાને લઈ આપઘાત કરી લેતો હોય છે. આવી જ વધુ એક આપઘાતની ઘટના અમદાવાદથી સામે આવી છે. અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં પાંચમા માળેથી પડતું મૂકીને એક યુવાને પોતાની જીવાદોરી ટૂંકાવી નાખી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરસપુરમાં આવેલી જાણીતી સરકારી શારદાબેન હોસ્પિટલના પાંચમા માળેથી પડતું મૂકીને એક અજાણ્યા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શારદાબેન હોસ્પિટલની નવી બિલ્ડિંગના પાંચમા માળેથી પડતુ મૂક્યું હતું. આપઘાત કરી લેનાર મૃતક યુવકની ઉંમર આશરે 35થી 40 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ યુવાન કોણ છે? ક્યાંનો છે? શા માટે તેણે આપઘાત કર્યો તે અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નથી.
આ ઘટનાના મામલે પોલીસને જાણ કરવામાં આવતા તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મૃતક યુવાન કોણ છે? તે દર્દી છે કે પછી કોઈ સ્થાનિક છે? તેણે કયા કારણોસર આપઘાત કર્યો? જેવા મુદ્દે હોસ્પિટલ તંત્ર તેમજ ઉપસ્થિત લોકો પાસે્થી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ આપઘાતની ઘટનાની વાત વાયુ વેગે પ્રસરી જતાં શારદાબેન હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે હાલમાં આવી મામલો સંભાળી લીધો છે. હવે મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.