અમદાવાદ: અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં માત્ર 20 રૂપિયાની લેતી-દેતી જેવા સામાન્ય મામલામાં મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી છે.
શહેરના અસારવા વિસ્તારમાં આવેલ ચમનપુરામાં રહેતા એક યુવકની માત્ર ૨૦ રૂપિયાની લેતી-દેતી જેવી સામાન્ય બાબતમાં તેના જ મિત્રે ઢોર માર માર્યા બાદ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનો ચકચારી કિસ્સો બહાર આવ્યો છે.
થોડાક દિવસ પહેલા મૃતક યુવકે તેના મિત્ર પાસે ૨૦ રૂપિયા ઉધાર માગ્યા હતા. જેમાં મિત્રએ યુવકને ઢોર માર માર્યો હતો અને તેનું ગળું દબાવ્યું હતું. યુવક ચાલતો ચાલતો તેના ઘરે ગયો હતો. જ્યાં તે એકાએક જમીન પર ઢળી પડ્યો હતો. બે દિવસ બાદ આસપાસના લોકોને જાણ થતાં તેને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મેઘાણીનગર પોલીસે અમદુપુરામાં રહેતા યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના અસારવા વિસ્તારના ચમનપુરામાં આવેલા સ્લમ ક્વાર્ટર્સ પાસેની પતરાંવાળીની ચાલીમાં રહેતો ૩૭ વર્ષીય સંજય મારવાડી નામનો યુવક રહેતો હતો. ગત તા. ૧૯ ઓગસ્ટના રોજ સંજય બેભાન હાલતમાં તેના ઘર પાસે મળી આવ્યો હતો. જેથી આસપાસના રહીશોએ સંજયના ભાઇને જાણ કરતા તે તુરંત દોડી આવ્યો હતો. આ પછી સંજયને સ્થાનિકોએ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સંજયના મૃત્યુના બીજા દિવસે સંજયના શેઠ બાબુભાઇ ઠાકોરે તેના ભાઇને જણાવ્યુ હતું કે, અમદુપુરા બસસ્ટેન્ડ પાસે રહેતા તેજસિંગ હમીરસિંગ રાઠોડ નામની વ્યકિત સાથે સંજયને અમદુપુરા ભગવતી મીઠા પાણીના દરવાજા પાસે કોઇ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેના કારણે તેજસિંગે સંજયને ગડદાપાટુંનો માર મારીને તેનું ગળું દબાવી દીધું હતું.
સંજયના શેઠ બાબુભાઈ ઠાકોરે જણાવેલી વિગતોના આધારે સંજયના ભાઈએ મેઘાણીનગર પોલીસમાં તેના ભાઈની હત્યા કરી હોવાની ફરિયાદ કરી હતી. જે અંગે મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી તેજસિંગ રાઠોડને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.