અમદાવાદના ઝુંડાલથી વૈષ્ણોદેવી જવાના માર્ગ ઉપર એક યુવક અને યુવતી ભાડાની સાઈકલ લઈને સાઈકલિંગ કરવા નિકળ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટોરેન્ટ ફાર્માની બસે અડફેટે લીધા હતા. ત્યાર બાદ બસે આગળ જતી એક કાર અને રીક્ષાને પણ ટક્કર મારી હતી.
આ વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં, જ્યારે અન્ય એક મહિલા ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સાઈકલ પર જઈ રહેલા યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઘાયલોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટ દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ ઝુંડાલથી વૈષ્ણોદેવી જવાના માર્ગ પર ત્રાગડ ગામ નજીક થયેલા અકસ્માતમાં જે યુવક અને યુવતીનાં મોત થયા છે તેમનાં નામ રોશન ઠાકુર અને સ્વાતી શર્મા હોવાનું જાણવા મળ્યું છે. બંનેની હજુ એક મહિના પહેલાં જ સગાઈ થઈ હતી અને ત્રણ મહિના પછી તેમનાં લગ્ન થવાના હતા.
બસના ડ્રાઈવરને પેરેલિટિક એટેક આવ્યો હતો. જેના કારણે તેણે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. પોલીસ અકસ્માતના કારણ અંગે વધુ તપાસ કરી રહી છે.