આણંદ,
આણંદના આંકલાવના અંબાવ ગામના ફાટા વિસ્તારમા આવેલા એક મકાનમાં પોલીસે છાપો મારતા કેમીકલમાંથી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી મળી આવી હતી. પોલીસે ફેકટરીને ઝડપી પાડીને કુલ મળી 7.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે એક શખ્સની ઘરપકડ કરી હતી.
આંકલાવ પોલીસને માહિતી મળી હતી કે, અંબાવના ફાટા સીમ વિસ્તારમાં રહેતા જયંતિભાઈ મનુભાઈ પઢિયારના ઘરે વિદેશી દારૂ બનાવીને વેચવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે છાપો મારતાં જયંતિભાઈ મનુભાઈ પઢિયાર ઝડપી લીધો હતો. પોલીસને તેના ઘરમાંથી ૫ તેમજ એક અડધુ પીપળુ કેમીકલયુક્ત વિદેશી દારૂ ભરેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત રોયલ સ્ટેગ અને ઈમ્પીરીયલ બ્લ્યુની નાની-મોટી ખાલી તેમજ વિદેશી દારૂ ભરેલી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસે તપાસ કરતાં બે ખાલી પીપળા પણ મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછ કરતાં પીપળામાં કેમીકલયુક્ત વિદેશી દારૂ બનાવીને તેને ઉંચા ભાવે વેચતા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર મીથાઈન આલ્કોહોલ પીપડામાં ભરીને તેને દારૂની બોટલોમાં પેક કરીને આંકલાવ અને તેની આસપાસના વિસ્તારોમાં વેચાણ કરવામાં આવતું હતુ. આ અંગે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
આંકલાવ પોલીસે અંબાવ ગામેથી ઝડપી પાડેલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીને લઈને વિદેશી દારૂ પીનારાઓમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે, ત્યારે પોલીસે ઝડપી પાડેલા જયંતિભાઈ પઢિયારની પુછપરછમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી જ કેમીકલયુક્ત વિદેશી દારૂ બનાવવાનું ચાલુ કર્યુ હતુ. આ માટે રોયલ સ્ટેગ અને ઈમ્પીરીયલ બ્લ્યુની નાની-મોટી બોટલો, સીલ મારવાના સાધનો વગેરે લાવીને કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
અંબાવ ગામેથી ઝડપાયેલી વિદેશી દારૂની ફેક્ટરીમાં શખ્સો દ્વારા મીથાઈન આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર દેશી કે વિદેશી દારૂ બનાવવા માટે તેમાં આથો લાવવા માટે આ કેમીકલનો ઉપયોગ કરાય છે.
મીથાઈન આલ્કોહોલ નાંખવામાં આવતાં એક કલાકની અંદર જ આથો આવી જાય અને દારૂ તૈયાર થઈ જતો હોય છે. અંબાવથી પકડાયેલા સાડા પાંચ પીપડામાં કેટલી માત્રામાં મીથાઈન આલ્કોહોલ નાંખવામાં આવ્યું છે તે મહત્વનું છે. જો તેની માત્રા વધી જાય તો દારૂ લઠ્ઠો થઈ જાય છે અને તે પીવાથી પીનારાના જીવ પણ જઈ શકે છે. જેથી પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરતા દારુની ફેક્ટરીમાં પીપળામાં કેમીકલયુક્ત વિદેશી દારૂ બનાવીને તેને ઉંચા ભાવે વેચતા હોવાની વિગતો મળી હતી. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઇએ કે પીપળામાંથી બનાવવામાં આવતો આ દારુથી લોકોના જીવ પણ જઇ શકે છે.