મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજારોહણ કરી ભગવાન દ્વારકાધીશની કરી પૂજા-અર્ચના
આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન તથા પૂજા અર્ચના કરી મંદિર ખાતે નવીન ધ્વજારોહણ કર્યું હતું. જગતમંદિરના પરિસરમાં મુખ્યમંત્રીને દ્વારકાધિશ મંદિર ટ્રસ્ટ વતી મુરલીભાઇ, મહેશભાઇ, શંભુભાઇ, કમલેશભાઇ, ખાખરીયાભાઇ, જયેશભાઇ, અભયભાઇ વગેરેએ આવકાર્યા હતા. તેમજ શારદાપીઠ ખાતે પુજારી અશ્વિનગુરૂ પુરોહિતે મુખ્યમંત્રીને ધ્વજાજીની પુજા વિધિ કરાવી હતી. જયારે શંકરાચાર્યજીના પ્રતિનિધિ તરીકે નારાયણ બ્રહ્મચારીજી મહારાજે મુખ્યમંત્રીને આશીર્વચન આપ્યા હતા. ત્યાર બાદ જગતમંદિર ખાતે મહંત શાંતીલાલે મુખ્યમંત્રીને પુજન-અર્ચન કરાવ્યું હતું.
થોડા દિવસ પહેલા ધ્વજા પર વિજળી પડી ત્યારેજ ભગવાન દ્વારકાધિશજીને નવીન ધ્વજા ચડાવવાનો સંકલ્પ કર્યો
ધ્વજારોહણ બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ધ્વજા પર વિજળી પડી ત્યારેજ ભગવાન દ્વારકાધિશજીને નવીન ધ્વજા ચડાવવાનો સંકલ્પ કર્યો હતો. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ગુજરાત કોરોનામુકત બને, ભગવાન ખુબ સારો વરસાદ આપે અને આવનારા દિવસોમાં ગુજરાત ખુબ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે અંજલિબહેન રૂપાણી સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.
બીજી લહેર પર નિયંત્રણ મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની પ્રભુ શકિત આપે
કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની પ્રભુ શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે ભગવાન દ્વારકાધીશના કૃપા આશિષ વરસતા રહે તેવી મુખ્યમંત્રીએ અભ્યર્થના વ્યકત કરી હતી.જગતમંદિર ખાતે પુજા વિધિમાં મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર રમેશભાઇ હેરમા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ જયોતિબેન સામાણી, જિલ્લા કલેકટર એમ.એ. પંડયા, આઇ.જી. સંદિપસીંઘ, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.