અમદાવાદ: Congress માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રીપદે બેસી જનારા કુંવરજી બાવળિયાને રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અર્જુન ખાટડિયાએ પડકાર ફેંકીને કહ્યું છે કે, તમે ગમે તેટલી તાકાત લગાવવી હોય તેટલી લગાવી દો, પરંતુ રાજકોટ જિ. પં.માં કોંગ્રેસનું શાસન છે અને આગામી અઢી વર્ષ સુધી કોંગ્રેસનું જ શાસન રહેશે.
કોંગ્રેસમાંથી નારાજ થઈને ભાજપમાં જોડાનારા કુંવરજી બાવળિયાને પક્ષમાં જોડાયાના ગણતરીના કલાકોમાં કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. જેના કારણે એવું લાગી રહ્યું હતું કે, કુંવરજી બાવળિયા કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતને તોડીને ભાજપને સત્તામાં લાવશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી.
કારણ કે, રાજકોટ જિલ્લા પંચાયતના ૧૦ જેટલા સભ્યો કુંવરજી બાવળિયાના સંપર્કમાં હોવાની વાતો વહેતી થઈ હતી. જેથી રાજકોટ જીલ્લાનું રાજકારણ ગરમાયું હતું.
આ સંજોગોમાં આજે જિલ્લા પંચાયત બંગલો ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાનીમાં પક્ષના તમામ સદસ્યોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદાર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અર્જુન ખાટડિયાએ જણાવ્યું હતું કે, ભાજપે ગમે તેટલી તાકાત લગાવવી હોય તેટલી લગાવી દે, પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અકબંધ રહેશે. હાલ જિ. પં.માં કોંગ્રેસનું શાસન છે અને આગામી અઢી વર્ષ સુધી કોંગ્રેસ જ સત્તા પર રહેશે.
આ પ્રસંગે જસદણ પંથકના આગેવાન અને કુંવરજી બાવળિયાના સમર્થક ગણાતા એવા અવસરભાઈ નાકિયા પણ કોંગ્રેસના શક્તિ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા ઉપરાંત અલ્પા ખાટરિયા સહીત પંચાયતના ૨૬ જેટલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે કુલ 34 સદસ્યો છે તેમાંથી 32 સભ્યોએ કોંગ્રેસની સાથે જ રહેવાની ખાતરી આપી છે. જે પૈકીના 26 સભ્યોએ સાથે રહીને કારોબારી ચેરમેન અર્જુન ખાટડિયા દ્વારા કુંવરજી બાવળિયા અને ભાજપને પડકાર ફેંક્યો છે. આ પડકારના પગલે કુંવરજી બાવળિયા મારફત રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરવાની ભાજપની આશાઓ પર હાલ તુરંત તો પાણી ફરી વળ્યું છે.
