અમદાવાદ,
NCP ના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં પ્રફુલ પટેલ, જયંત પટેલ સહિતના નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા અને શરદ પવારનુ ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
બપોરે ત્રણ વાગ્યે શંકરસિંહ વાઘેલા શરદ પવારની હાજરીમાં સતાવાર રીતે એનસીપીમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે શરદ પવારના આગમનથી NCP ના નેતાઓમાં ખુશી જોવા મળી હતી.
લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાતા ભાજપ અને કોંગ્રસ બંન્ને પક્ષોને નુકસાન થઈ શકવાની શક્યતા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં એનસીપીના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. જે બેઠકમાં જ વાઘેલાનું એનસીપીમાં જોડાવાનું નક્કી થઈ ગયું હતું.
બાપુના એનસીપીમાં જોડાવાથી એક રીતે જોઇએ તો, પક્ષને ગુજરાતમાં ફાયદો થશે અને આમ પણ ગુજરાત એનસીપીમાં શંકરસિંહ વાઘેલા જેવા કોઇ મોટા નેતા નથી, તેથી આવા સંજોગોમાં ગુજરાતમાં પક્ષને મજબૂત કરવામાં સારી એવી મદદ મળી રહેશે. કાર્યકતાઓના સંગઠન પર બાપુની પકડ હોવાથી એનસીપીની તાકાતમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે જન વિકલ્પ મોરચા નામનો નવો પક્ષ બનાવ્યો હતો અને પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા.
જોકે, ચૂંટણીમાં તેમના ઉમેદવારોએ કંઈ ઉકાળ્યું ન હતું. ત્યાર બાદ શંકરસિંહ કોઈ પક્ષ સાથે જોડાયા ન હતા. આખરે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા તેમણે એનસીપીમાં જોડાઈ જવાનો નિર્ણય લીધો હતો.