નવી દિલ્હી,
લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે એમ હવે કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર દ્વારા બીજીવાર સત્તા પર બિરાજમાન થવા માટે અનેક પ્રજાલક્ષી જાહેરાત કરાઈ રહી છે, ત્યારે હવે મંગળવારે સરકારે ખેડૂતલક્ષી જાહેરાતો કરી છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી એક હાઈ લેવલ કમિટીમાં દુષ્કાળથી પ્રભાવિત દેશના અલગ અલગ રાજ્યો માટે કુલ ૭૨૧૪.૦૩ કરોડ રૂપિયા કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવ્યા છે.
સરકારની આ કમિટી દ્વારા હિમાચલ પ્રદેશ માટે ૩૧૭.૪૪ કરોડ રૂપિયા, ઉત્તરપ્રદેશ માટે ૧૯૧.૭૩ કરોડ રૂપિયા, આંધ્રપ્રદેશ માટે ૯૦૦.૪૦ કરોડ રૂપિયા, ગુજરાત માટે ૧૨૭.૬૦ કરોડ રૂપિયા, કર્ણાટક માટે ૯૪૯.૪૯ કરોડ રૂપિયા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી માટે ૧૩.૦૯ કરોડ રૂપિયા ફળવાયા છે.
જયારે દુષ્કાળથી પ્રભાવિત એવા મહારાષ્ટ્ર માટે સરકાર દ્વારા દેશમાં સૌથી વધુ ૪૭૧૪.૨૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા મોદી સરકારને ખેડૂત વિરોધી ગણાવવામાં આવી રહી છે અને પીએમ મોદી પર સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે.