ગાંધીનગર,
રાજ્યના છેવાડા ગામડાઓમાં રહેતા લોકો માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં ૬ નવા પાસપોર્ટ કેન્દ્રો ખોલવા માટેની મંજુરી આપી છે.
રાજ્યમાં ગાંધીનગર, પાટણ, સાબરકાંઠા બારડોલી, સુરેન્દ્રનગર અને અમરેલીમાં નવા પાસપોર્ટ કેન્દ્રો ખોલવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં પાસપોર્ટ કેન્દ્રોની સંખ્યા ૨૫ જેટલી થઇ જશે.
પાટનગર ગાંધીનગર ખાતે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક બાદ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જાહેરાત કરી હતી.
વિદેશ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે આઉટ રીચ પ્રોગ્રામ
વિદેશ મંત્રાલય દ્વારા દુનિયામાં વસતા ભારતીયોને જે તે દેશમાં થતી સમસ્યાઓ તેમજ નોકરીના પ્રશ્નો અંગેના નિરાકરણ માટે દેશભરમાં આઉટ રીચ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, ત્યારે આ જ સંદર્ભે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી જેમાં રાજ્યમાં ખુલનારા નવા પાસપોર્ટ કેન્દ્રોની જાહેરાત કરવામાં આવી છે.
છેવાડાના ગામના લોકોને મળશે છુટકારો
મહત્વનું છે કે, આ પહેલા રાજ્યના જિલ્લાઓના ગામડાઓમાં વસતા લોકોને પાસપોર્ટ કઢાવવા માટે મોટા શહેરોમાં ચક્કર લગાવવા પડતા હતા, જો કે હવે આ નવા ૬ કેન્દ્રો ખુલ્યા બાદ તેઓને મોટા શહેરોના ચક્કર લગાવવામાંથી છુટકારો મળશે.