રાજકોટ,
જસદણ પેટાચૂંટણીનો જંગ છેડાઈ ચુક્યો છે. ત્યારે 1985થી કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ બેઠક પર જીત મેળવતા કુંવરજી બાવળિયા માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની ચુક્યો છે. ભાજપને તો આ બેઠક મેળવવામાં લગભગ ત્રીસેક વર્ષથી સફળતા મળી નથી. અને કદાચ વધુ એકવાર અસફળતા મળે તો ખાસ કોઈ ફેર પડતો નથી. પણ બાવળીયાને મળેલું કેબિનેટ મંત્રીપદ પણ આ બેઠક પર તેમના પ્રભુત્વનું ફળ છે. એટલે આ બેઠકમાં જીત હાંસિલ કરવી ભાજપ કરતા પણ તેમના માટે વધુ જરૂરી બની ગઈ છે. પરંતુ આ જીત મેળવવી સરળ નથી.
![જસદણ પેટાચૂંટણી : ભાજપ કરતા બાવળિયા માટે પ્રતિષ્ઠાનો સવાલ, છતાં જીત સરળ નથી 2 700730 bavaliyakunvarji 070418 1 e1543500959730 જસદણ પેટાચૂંટણી : ભાજપ કરતા બાવળિયા માટે પ્રતિષ્ઠાનો સવાલ, છતાં જીત સરળ નથી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/11/700730-bavaliyakunvarji-070418-1-e1543500959730.jpg)
કોંગ્રેસ માટે આ મતક્ષેત્ર બાવળિયાનો વ્યક્તિગત નહીં, પણ પક્ષનો ગઢ છે, તે પુરવાર કરવાની તક અને પડકાર બંને છે. આમ તો બાવળીયા આ વિસ્તારના લોકો સાથે જીવંત સંપર્ક ધરાવે છે. અને ભાજપનું સુગઠિત સંગઠન તેમજ બાવળિયાની જેમ જ આ વિસ્તારમાં સારૂ પ્રભુત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોધરા આ લડાઈમાં તેમના સારથી બન્યા છે. આમ દેખીતી રીતે આ બેઠક પર જીત મેળવવી બાવળિયા માટે ખાસ મુશ્કેલ જણાતી નથી. પરંતુ બીજા કેટલાક પરિબળો જોતા આ બેઠક જીતવી બાવળિયા માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.
![જસદણ પેટાચૂંટણી : ભાજપ કરતા બાવળિયા માટે પ્રતિષ્ઠાનો સવાલ, છતાં જીત સરળ નથી 3 congressflag ptid જસદણ પેટાચૂંટણી : ભાજપ કરતા બાવળિયા માટે પ્રતિષ્ઠાનો સવાલ, છતાં જીત સરળ નથી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/11/congressflag_ptid.jpeg)
જસદણના મત વિસ્તારમાં કોળી 70-72 હજાર કોળી મતદારો, 40-42 હજાર લેઉવા પટેલ મતદારો સહિત દસેક હજાર કડવા પટેલ મતદારો છે. તેમજ માલધારી સમાજના 10 હજાર મતો પણ ગમે ત્યારે બાજી પલટી શકે છે. આ ઉપરાંત બાવળિયાના પક્ષ પલટા બાદ તેના મોટાભાગના સમર્થકોમાં નારાજગી છે. કદાચ નારાજગી દૂર થાય તો પણ અન્ય વર્ગોના મતોની અવગણના કરી શકાય તેમ નથી. તેમજ આ વખતે NCP ત્રીજો મોરચો ખોલવાના મૂડમાં છે. જેને કારણે પણ ભાજપના મતો કપાય તેવી પૂરતી શક્યતા છે.
![જસદણ પેટાચૂંટણી : ભાજપ કરતા બાવળિયા માટે પ્રતિષ્ઠાનો સવાલ, છતાં જીત સરળ નથી 4 38654 bjp flag ani e1543501263750 જસદણ પેટાચૂંટણી : ભાજપ કરતા બાવળિયા માટે પ્રતિષ્ઠાનો સવાલ, છતાં જીત સરળ નથી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/11/38654-bjp-flag-ani-e1543501263750.jpg)
વર્ષ 2017 ની ચૂંટણીમાં કુંવરજીને 84321 મત જ્યારે ભાજપના ડો. બોઘરાને 75000થી વધુ મત મળ્યા હતા. એટલે કે કોંગ્રેસની સરસાઈ 10000 મતોથી ઓછી રહી હતી. ત્યારે આ વખતે જીત મેળવવા બાવળિયાએ કોળી મતો જાળવી રાખવાની સાથે જ પાટીદાર મતો મેળવવા જરૂરી છે. જેમાં પરંપરાગત રીતે ભાજપના મતદાર તરીકે પટેલોનો અમુક વર્ગ બાવળિયાની તરફેણમાં રહેશે. પરંતુ તેની સામે તેમના પક્ષપલટાથી નારાજ કોળી મતદારોની સંખ્યા મોટી હોવાની શક્યતા વધુ છે.
કોંગ્રેસે બનાવેલી ચાર સંભવિત ઉમેદવારોની પેનલમાં ભોળાભાઈ ગોહેલ, પંચાયતના કોંગ્રેસના કોળી સભ્ય અવસર નાકિયા, ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ગજેન્દ્ર રામાણી તેમજ ધીરૂભાઈ શીંગાળાનું નામ છે. બાવળીયાની અવેજીમાં ભોળાભાઈ ગોહેલ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. ઉપરાંત કોળી મતદારોને નારાજ કરી પટેલ ઉમેદવાર પસંદ કરવો કોંગ્રેસ માટે જોખમી હોવાથી પણ કોંગ્રેસ કોળી ઉમેદવાર પસંદ કરે તેવી શક્યતા વધારે છે. આ બાબત પણ બાવળીયા માટે પડકારરૂપ બની શકે છે.
![જસદણ પેટાચૂંટણી : ભાજપ કરતા બાવળિયા માટે પ્રતિષ્ઠાનો સવાલ, છતાં જીત સરળ નથી 5 c7a5f69f71c3d8a77ef36e174fb3e191 e1543501358260 જસદણ પેટાચૂંટણી : ભાજપ કરતા બાવળિયા માટે પ્રતિષ્ઠાનો સવાલ, છતાં જીત સરળ નથી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/11/c7a5f69f71c3d8a77ef36e174fb3e191-e1543501358260.jpg)
બીજીતરફ કોંગ્રેસ જો કોળી ઉમેદવાર પસંદ કરશે તો NCP શંકરસિંહ વાઘેલાના ઈશારે મજબૂત, લોકપ્રિય તેમજ ખમતીધર પાટીદાર આગેવાનને મેદાનમાં ઉતારે તેવી પૂરતી શક્યતા છે. કારણ કે, બે કોળી ઉમેદવારોની લડાઈમાં પાટીદાર ઉમેદવાર બાજી મારી શકે છે. તેમજ કોંગ્રેસ બાવળિયા અને ભાજપ સરકાર સામે લોકોમાં રહેલા રોષનો ફાયદો ઉઠાવી શકે તો ચોક્કસ વિજયનો સ્વાદ ચાખી શકે છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારની પસંદગી અને તેનું વલણ પણ બાવળિયાની હાર-જીતમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.
જો કે કોંગ્રેસમાં પણ ઉમેદવાર જાહેર થયા બાદ આંતરિક કલહ સપાટી ઉપર આવવાની અને વધુ કેટલાક મહત્વના લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની શક્યતા નકારી શકાય એમ નથી. આ કલહનો સીધો ફાયદો બાવળિયાને મળવો નિશ્ચિત છે. પણ હાલ કોંગ્રેસ જે રીતે ફૂંકી-ફૂંકીને નિર્ણયો લઈ રહી છે., તે જોતા આ ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારની પસંદગીમાં થાપ ખાય તેવું લાગતું નથી. આમ બાવળિયા માટે ખાસ જરૂરી અને પ્રથમ નજરે આસાન લાગતી જીત ખરેખર મુશ્કેલ બને તેવું લાગી રહ્યું છે.