ક્ચ્છ,
આજે સમગ્ર દેશમાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે, પરંતુ આજનો દિવસ ક્ચ્છ માટે હંમેશા દર્દનાક બની રહ્યો છે. 26 જાન્યુઆરી 2001 ના દિવસે સવારે 8:40 મિનિટે આવેલા એ ગોઝારા ભૂકંપની યાદ હજી વિસરી શકાય તેમ નથી. આજે એ ગોઝારા ભૂકંપની 19મી વરસી છે ત્યારે આજે પણ એ હાદશાને યાદ કરી લોકો કંપી ઉઠે છે.
26 જાન્યુઆરી 2001નો દિવસ કચ્છવાસીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી આ દિવસે સેંકડો લોકો ભૂકંપના કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હતા. સવારે એકાએક કચ્છમાં ધરતી ધ્રુજી ઉઠી હતી અને મોટી મોટી બિલ્ડીંગો, મકાન, કચેરીઓ પતાના મહેલની જેમ પડી ગઈ હતી. તે સમયે કચ્છમાં મોટી હોનારત સર્જાઈ છે.
કચ્છમાં રાજાશાહી સમયના અનેક સ્થાપત્યો અને ઇમારતો આવેલી છે જે અડીખમ હોવા છતાં ભૂકંપમાં નુકશાન પામી હતી. ભૂજનો પ્રાગ મહેલ, આઈના મહેલ, છતરડી જેવા પ્રાચીન સ્થળોમાં ભૂકંપમાં વ્યાપક નુકશાન થયું હતું, આજે પણ એ જર્જરિત ઇમારતો અને ભૂકંપનો કાટમાળ જોઈ શકાય છે.
.આજે એ ગોઝારા ભુકંપને 18 વર્ષ પૂર્ણ થયા છે અને 19 મી વરસી છે. આ હોનારતમાં કચ્છમાં હજારો લોકો કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામ્યા હતા. તો લાશોના ઢગલા થયા હતા એ દિવસને યાદ કરીને લોકોની આંખમાં આજે પણ આંસુ આવી જાય છે.
એ દર્દનાક દિવસ, લોકોની જીવ બચાવવા માટેની કરુણ ચીસો, સ્વજનને ગુમાવવાનું હૈયાફાટ રૂદન, મિલકત સરસામાન તહેશ નહેશ થઈ જવું આ ગોઝારો દિવસ કચ્છી જનો શુ કોઈ ભારતીય પણ નહિ ભૂલી શકે.
ભૂકંપના પ્રત્યક્ષદર્શી ફરીદા બેનના જણાવ્યા પ્રમાણે, તેઓ તે સમયે અંજારના ભીમાસર ગામે ઘરમાં ઘરકામ કરી રહ્યા હતા અચાનક ભૂકંપનો આંચકો આવ્યો તેમને થયું કે ટેપનો અવાજ વધી ગયો છે અને શોર્ટ સર્કિટ થઈ છે.
પરંતુ આ તરફ ઘરની એક દીવાલ ધરાશાયી થઈ બીજી દિવાલ ધરાશાયી થઈ તે સમયે તેમની બે નાની પુત્રીઓ ઘરમાં રમી રહી હતી અને તેઓ પણ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.આસપાસના લોકો મદદે દોડી આવ્યા ને હેમખેમ રીતે તેઓ પોતાનો અને બે પુત્રીઓનો જીવ બચાવીને સલામત સ્થળે પહોંચ્યા હતા એ દિવસે ભગવાને તેમને નવું જીવન પ્રદાન કર્યું હતું તેવું તેમણે જણાવ્યું હતું. પરંતુ કેટલાક એવા લોકો પણ હતાં જે ફરીદા બેનના જેમ નસીબદાર નહોતો જેમને પોતાનું સર્વસ્વ આ ભૂંકપમાં ખોઈ દીધું હતું.