કચ્છ,
છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધુ એક એક્સિડન્ટનો વધારો થયો છે. રવિવારે કચ્છ જિલ્લાના ભચાઉ પાસે થયેલા એક ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ૧૦ લોકોના મોત થયા છે.
આ પરિવાર ઈનોવા કારમાં સવાર હતો, ત્યારે જ આ એસયુવી કાર બે ભારી ભરખમ ટ્રક વચ્ચે આવી ગઈ હતી અને આઆ અકસ્માતની ઘટના બની હતી.
પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, રવિવાર સાંજે ભચાઉ માર્ગ પર મીઠું ભરેલી એક ટ્રક ડિવાઈડર પર ચઢીને સામે બાજુ આવી ગઈ હતી અને ઈનોવા કાર સાથે અથડાઈ હતી. આ કારમાં કુલ ૧૧ લોકો સવાર હતા, જેમાંથી એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, આ તમામ લોકો પોતાના ગૃહનગર ભુજ જઈ રહ્યા હતા ત્યારે જ આ દુર્ઘટના બની હતી.
બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ આ ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈ શોક જતાવ્યો હતો અને સ્થાનિક પ્રશાસનને જરૂરી તમામ સહયોગ આપવા માટે આદેશ કર્યો છે.