અમદાવાદ: વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી મંગળવારે ઋષિકેશ ખાતે ગંગામાં નાહવા ગયા હતા ત્યારે તેઓ નદીના વહેણમાં તણાયા હોવાની કરુણ ઘટના બની હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. વડતાલ (Vadtal) સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી તેમની કોઈ જ ભાળ મળી નથી.
આ ઘટના અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય (જૂના મંદિર)ના સ્વામી નંદકિશોર મંગળવારે ઋષિકેશ ખાતે વહેલી સવારે ગંગા નદીમાં નાહવા માટે ગયા હતા. આ સમયે નાહતા સમયે અચાનક નદીના ભારે વહેણમાં નંદકિશોર સ્વામી તણાઈ ગયા હતા.
નંદકિશોર સ્વામીના નદીમાં તણાઈ જવાની ઘટના અંગેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજ અંતર્ગત તેઓ સ્નાન કરવા માટે ગંગા નદીના કિનારે ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, તેઓ ગંગા કિનારે જઈ રહ્યા છે.
આ દરમિયાન અમુક લોકોએ તેમને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ ગંગા નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન પગ લપસી જવાને કારણે કે પછી કોઈ અન્ય કારણથી તેઓ નદીના ભારે વહેણમાં તણાઈ ગયા હતા. જો કે ત્યાર બાદ તેમની હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નંદકિશોર સ્વામી છેલ્લા બે વર્ષથી સાળંગપુર મંદિર ખાતે સેવા આપતા હતા. આ અગાઉ તેઓ સુરત ખાતે પણ તેમની સેવા આપી ચુક્યા છે.
તાજેતરમાં તેઓ ઋષિકેશ ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયના તાબાના એક મંદિરમાં વિચરણ કરવા માટે ગયા હતા. છેલ્લા થોડા દિવસોથી ઋષિકેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગંગા નદી ખતરાના લેવલ ઉપર વહી રહી છે.