ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે અલગ અલગ કરતબો અપનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચુંટણીના પ્રચાર માટે પોતાના ૫૦ થી વધુ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં ભાજપના પાયાના પથ્થર સમાન એવા પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની, વારિષ્ટ નેતા મુરલી મનોહર જોશી અને યશવંત સિન્હાની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. ત્યારે ભાજપના સ્થાપક અને તેના પિતામહ ગણાતા અડવાણી હાલ પક્ષમાં છે પરંતુ તેમની ઉપસ્થિત ન હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ અંગે ભાજપના કાર્યકરો અને સોશીયલ મીડિયામાં પણ નોધ લેવાઈ રહી છે.