સાબરકાંઠાના ઢુંઢર ગામમાં થયેલી 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતીયો પર હુમલાના બનાવના પગલે રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં પરપ્રાંતીયો પર થતા હુમલાઓને લઈ ભાજપ-કોંગ્રેસના નેતાઓ આક્ષેપ- પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.
આજે કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે સરકાર કામ નથી કરતી તો રાજ્યમાં સંવૈધાનિક કાર્યવાહી થવી જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે હાલ વિશ્વસ્તરે ગુજરાતની છબી ખરડાઈ છે.
શક્તિસિંહે અલ્પેશ ઠાકોર પર આક્ષેપોના જવાબમાં કહ્યું હતું કે ગુજરાતમાં પરપ્રાંતીયો પર ભાજપના નેતાઓ હુમલા કરાવી રહ્યાં છે અને અલ્પેશ ઠાકોરને તમામ હુમલા માટે જવાબદાર ગણાવી રહ્યાં છે.
અલ્પેશ ઠાકોરે સીસીટીવી ફૂટેજ બતાવીને સાબિત કર્યું છે કે ભાજપના નેતાઓ પરપ્રાંતીય પર હુમલાઓ કરાવી રહ્યાં છે. દરેક ભારતીયને દરેક પ્રાંતમાં રહેવાનો અધિકાર છે. બિહારના લોકોનું ગુજરાત પર તેટલો જ અધિકાર છે જેટલો ગુજરાતનો અન્ય રાજ્યો પર છે.