અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને હાઈકોર્ટની ફટકાર મળ્યા બાદ રોડની મરામત અને રિસરફેસિંગના કામો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ આ કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ઢીલી નિતી અપનાવવામાં આવી છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રોડના કામો બાકી છે. શહેરમાં રોડની કામગીરી કેટલી થઈ છે અને કેટલે સુધી પહોંચી છે તે અંગે એએમસી (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ વહીવટીતંત્ર દ્વારા અજાણ રાખવામાં આવ્યા છે. જેના કારણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભારે નારાજ થયા છે અને રોડની કામગીરીમાં ઢીલી નિતી દાખવનાર કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારવા માટે અધિકારીઓને સૂચના આપી છે. પરંતુ એએમસીના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારવામાં આવી નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને હાઈકોર્ટની ફટકાર મળ્યા બાદ અમદાવાદ શહેરમાં ઊબડખાબડ માર્ગોના રિસરફેસિંગનું કામ હાથ ધરાયું હતું. પરંતુ AMC ના કામથી શહેરીજનોને જરાપણ સંતોષ નથી. આમ તો સત્તાધીશો દ્વારા રોડ-રસ્તાના કામમાં ઝડપ આવી હોવાનો દાવો કરવામાં આવે છે. જયારે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બંધબારણે વહીવટીતંત્રને જે કોન્ટ્રાકટર દ્વારા હજુ સુધી મંદગતિએ ચાલતા કામો અંગે સંબંધિત કોન્ટ્રાકટરને નોટિસ ફટકારીને તેમની પાસેથી સાત દિવસમાં જવાબ માગવાની તાકીદ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદ શહેરમાં ગત ચોમાસા દરમિયાન રૂ.૪પ૦ કરોડના રોડ પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં ધોવાઇ ગયા હતા. જેના કારણે એએમસીના ભાજપના સત્તાધીશો અને તંત્ર વાહકોની આબરૂના ધજાગરા થયા હતા. વિધાનસભાની વર્ષ ૨૦૧૭માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં પણ આ બાબત ભાજપને નડી હતી, જેના કારણે એએમસીના શાસક પક્ષ ભાજપે શહેરની બે વિધાનસભા બેઠકો જમાલપુર-ખાડિયા અને બાપુનગર ગુમાવવાનો વારો આવ્યો હતો.
એએમસી દ્વારા ચાલુ વર્ષે આશરે રૂ.૩પ૦ કરોડના રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત પ્રારંભમાં જે તે રોડના કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી. આ પછી હોટમીક્ષ પ્લાન્ટ બનાવવામાં થયેલો વિલંબ, દિવાળીના તહેવારોના કારણે મજૂરોની ગેરહાજરી વગેરે કારણોના લીધે રોડના કામમાં ગતિ આવતી નહીં હોવાનું કોન્ટ્રાક્ટરો દ્વારા બહાનાં કાઢવામાં આવ્યા હતા.
જોકે એએમસીના વહીવટી તંત્ર દ્વારા ૩.૭૭ લાખ મેટ્રિક ટનના રોડ રિસરફેસિંગના કામ કરવાના કામોમાંથી હજુ સુધી માત્ર ૧.૦૭ લાખ મેટ્રિક ટનના કામો જ પૂર્ણ થયા હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે હજુ પણ ૭પ ટકા રોડનાં કામ બાકી છે. જયારે બીજી તરફ એએમસીના સત્તાધીશોને વહીવટીતંત્ર દ્વારા કયા રોડના રિસરફેસિંગના કામ થયાં અને કેટલા રોડ બાકી છે તે અંગે હજુ સુધી માહિતગાર કરવામાં આવ્યા નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરમાં ક્યાં સ્થળોએ રોડ-રસ્તાના કેટલા કામો થયા છે અને કેટલા બાકી છે તે અંગે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ અજાણ હોવાનું ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફલિત થયું હતું. જેના કારણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નારાજ થયા હતા.
આ પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રોડ વિભાગના કોન્ટ્રાક્ટરોની મંદ ગતિથી કરવામાં આવતી કામગીરીથી ભારે નારાજ થયા હતા અને આ મામલે જે કોન્ટ્રાક્ટરો પોતાની કામગીરીમાં બેદરકારી દાખવી રહ્યા છે તેમને શોધીને નોટિસ ફટકારવા અંગેની તજવીજ હાથ ધરી છે. જેના કારણે કોર્પોરેશનના ભાગબટાઈ વાળા અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારવા માટે અધિકારીઓને સૂચના આપી હોવા છતાં હજુ સુધી અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.