અમદાવાદ: Gujarat ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમા પાણીની સપાટીમાં ધીમો પણ સારો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી ધીમી ધીમી પણ સતત પાણીની આવક થઈ રહી છે જેના કારણે છેલ્લા 12 કલાકમાં 27 સે.મી.નો પાણીની સપાટીમાં વધારો થયો છે. સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમની સપાટી 110.15 મીટર સુધી પહોંચી ગઈ છે, જેના કારણે ડેમનું જળ સ્તર 110 મીટરથી વધી જતા રાજ્યમાં જે જળસંકટ દેખાતું હતું તે હવે દૂર થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે સરદાર સરોવર ડેમની જળ સપાટી 110.15 મીટરને વટાવી ચૂકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં નવાં 17,650 ક્યુસેક પાણીની આવક થતા જળ સપાટીમાં વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડેમની સપાટી 110 મીટરથી ઉપર પહોંચી ગઈ છે, જેના કારણે તંત્ર દ્વારા આજ સાંજ સુધીમાં ડેમની IBPT ટનલને બંધ કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં 3631.51 મિલિયન ક્યુબિક મીટર (mcm) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ વર્ષે ચોમાસાની ચાલુ સિઝનમાં નર્મદા ડેમમાં પાણીનો જથ્થો 130 મીટર ડેમ લેવલ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી
હાલ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, ગુજરાતમાં વરસાદ વરસાવતી સિસ્ટમ વધુ મજબૂત થઈ છે. જેના કારણે આગામી 24 કલાકમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત તા. 15 અને 16 જુલાઈ એટલે કે, રવિવાર અને સોમવારના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે સિસ્ટમ થઈ વધુ મજબૂત થતા માછીમારોને પણ આગામી 24 કલાક દરમિયાન દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર જિલ્લો, કચ્છ જિલ્લો તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજુ વરસાદની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે.