@વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર
સેકટર19 માં રહેતા એક સિનિયર કક્ષાના IASને શ્વાન પાળવાનો ખુબ શોખ છે. પોતાના પુત્રની જેમ લાડકો ગણી તેને કોઈ તકલીફ ન પડે તે રીતે તેની સંભાળ રાખે છે.

આ સિનિયર IAS ની આજુબાજુમાં રહેતા ઘણા લોકોને આ શ્વાન કરડ્યો પણ છે અને કેટલાય લોકોને હોસ્પિટલ પણ દોડવું પડ્યું છે.
આ સ્વાન કરડવાની કેટલાય લોકોએ સિનિયર IASને ફરિયાદ કરી હતી. પરંતુ વ્હાલસોયા શ્વાનની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે એ કેમ સહન થાય. લોકો પણ આ IAS અધિકારી આગળ પોતાનું ચાલશે નહીં તેવું વિચારી સમસમીને ચૂપ રહેવામાં જ મુનાસીબ માન્યું હતું. તાજેતરમાં જ અન્ય એક IAS અધિકારીના પરિવારજનને આ શ્વાને બચકું ભર્યુ હતું. ફરી રજુવાત કરવામાં આવી પણ કઈ નિરાકરણ આવ્યું નહિ.

વાત અહીં અટકવાને બદલે શ્વાન પ્રેમી IAS અધિકારી વધુ એક બીજો શ્વાન લઈ આવ્યા. હવે લોકો એકની જગ્યાએ બે શ્વાનથી ડરવા લાગ્યા છે. હવે તો જાણે પોતાના રહેણાંક ની આસપાસ સિંહ આવ્યો હોય તેમ લોકો બહાર નીકળતા પણ ડરવા લાગ્યા છે. હવે આ સમગ્ર મામલો મુખ્ય સચિવની ઓફિસ સુધી પહોંચે અને મુખ્ય સચિવ કોઈ નિર્ણય લે તો જ લોકો રાહત નો દમ લઈ શકે.
