કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર ખેડૂતોનું વિચાર કરી રહી નથી .ખેડૂતો આર્થિક સંકડામણમાં છે ત્યારે ખાતરના ભાવ વધારવું કેટલું યોગ્ય છે. રાજ્યના ખેડૂતો વાવણી કરવા તૈયારી કરી રહ્યા છે .ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઇ જશે. તેવા સમયે ફર્ટિલાઇઝર કંપ્નીઓ એ ખાતરના ભાવમાં બેફામ વધારો કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસના દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કૃષિ મંત્રી આર.સી.ફળદુ ને પત્ર પાઠવીને 7 દિવસમાં ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે એવી ચેતવણી આપી છે.
ગુજરાત કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રી આર.સી.ફળદુ ને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે આગામી તારીખ 19 ના રોજ ખેડૂતો પોતાના ખેતરે અને ઘરે ઉપવાસ કરશે આમ છતાં જો સરકાર કોઇ નક્કર કાર્યવાહી નહીં કરે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે અને ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડશે.
એપ્રિલ મહિનામાં ભાવ વધારો કરવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું અને ભાવવધારો પાછો ખેંચાશે તેમ જણાવ્યું હતું પરંતુ તેમ થયું નથી અને મે મહિનામાં અન્ય કંપનીઓએ પણ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે ભાવ વધારો અટકાવી દેવામાં આવ્યો હતો પરતું ચૂંટણી પૂર્ણ થતાં ફરીવાર ખાતરના ભાવા વધારી દીધા છે .