વિશ્વકપની મેચોમાં ભારતની ખરી ટક્કર પાકિસ્તાન સાથે 16 જુને માન્ચેસ્ટરમાં થવાની છે. ભારતમાં પુલવામામાં થયેલો આતંકી હુમલો અને એ પછી બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી બંને દેશો વચ્ચે તંગ વાતાવરણ વચ્ચે આ મેચ રમાશે.
એવું કહેવામાં આવે છે કે ભારત સામેની મેચમાં મેદાન પર પાકિસ્તાન એવો ‘જવાબ’ આપવા માંગે છે જેને દુનિયા જુવે. જો કે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની ટીમને એક શીખ આપવાની સાથે મેચ દરમિયાન માત્ર ક્રિકેટ પર ફોકસ કરવાની સલાહ આપી છે. ઈમરાન ખાને તેમની ટીમને કહ્યું છે કે, જેવા સાથે તેવાના વિચાર રાખવાના બદલે માત્ર મેચ પર ધ્યાન આપો. કેટલાંક મીડીયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની ટીમ ભારતનાં ખેલાડીઓની વિકેટ પડવા પર અલગ રીતે ઉજવણી કરવા માગે છે. પાકિસ્તાનની ટીમ તેમના આર્મીની કેપ પહેરીને પણ મેદાનમાં ઉતરવા માંગે છે. પાકિસ્તાનની ટીમનો આ પાછળ ભારતીય ટીમ દ્વારા માર્ચ મહિનામાં આર્મી કેપ પહેરવાનો જવાબ આપવાનો ઈરાદો હતો. જો કે, પોતે ક્રિકેટર રહેલા ઈમરાન ખાને તેમની ટીમને આમ કરવાની મનાઈ કરી દીધી છે. ઇમરાને તેમની ટીમને બદલાની ભાવનાને બદલે રમત પર જ ધ્યાન આપવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ રાંચીમાં ઓસ્ટ્રેલિયા સામે થયેલી મેચમાં પુલવામાનાં શહીદોને યાદ કરીને સેનાની કેપ પહેરી હતી. સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહેરેલી ટોપીમાં BCCIનો લોગો પણ હતો. જોકે, પાકિસ્તાને એ કહીને વિરોધ નોંધાવ્યો હતો કે, ટીમ ઈન્ડિયા રમતને અલગ રંગ આપી રહી છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનાં ચેરમેન એહસાન નમીએ ટીમને ઉત્તજેનામાં ના આવવાની સલાહ આપી છે. એહસાન નમીએ કહ્યું કે આપણે એવું કશું નહીં કરીએ, જેવું અન્ય ટીમે કર્યું છે.
આઇસીસીના નિયમો પ્રમાણે કોઇ ટીમે તેનો ડ્રેસ બદલવો હોય કે પછી મેદાન પર કઇં હટકે કરવું હોય તો અગાઉથી તેમની મંજુરી લેવી પડી છે અને તેના માટે કોડ નક્કી છે. આઇસીસીનાં અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાને હજુ સુધી આવી કોઈ મંજૂરી નથી માંગી. આ સાથે આપને જણાવી દઈએ કે વિશ્વકપમાં સાઉથ આફ્રીકા સામેની મેચમાં ધોનીએ જે ગ્લવ્સ પહેર્યા હતા, તેમાં પેરા મિલેટરીનો લોગો હતો. તેને આઇઇસીસીએ હટાવવાની અપીલ બીસીસીઆઇને કરી છે.