દિલ્હી, મહારાષ્ટ્ર સહીત દેશમાં અનેક રાજ્યોમાં કોરોના પ્રકોપ વધી રહ્યો છે. તેમાંય વળી હવે ભારતમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને સરકારનું ટેંશન વધાર્યુ છે. સરકારે મહારાષ્ટ્ર અને પંજાબમાં ડબલ મ્યુટેટ વેરિઅંટના વધતા કેસોને ગંભીર ગણાવ્યા છે. મહામારીની આ રફ્તારને રોકવા માટે કેટલાય રાજ્યોમાં ગત વર્ષની જેમ લોકડાઉન અને નાઇટ કર્ફયુંનો સહારો લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્કુલ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે બીજા બે મોટા શહેરો નાંદેડ અને બીડમાં લોકડાઉન લગાવી દીધુ છે. તો બીજી તરફ તહેવારોને જોતા સ્વાસ્થય વિભાગે રાજ્યોને પોતાની રીતે કડક પગલાં લેવાના આદેશ કર્યા છે. તો દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં પ૩ હજારથી વધારે સંક્રમિતો સામે આવ્યા છે. અને કોરોના વાયરસના લીધે ૨પ૧ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરલ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં ૮૦ ટકા નવા કેસો આવ્યા છે.
સ્વાસ્થય મંત્રાલયનું કહેવુ છે કે ભારતમાં કોરોના વાયરસ ડબલ એટેક કરી રહ્યો છે. અને તેના લીધે જ કોરોના સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. અને હવે ઇમ્યુનિટી પણ કોરોના સામે લડી શકતી નથી. દેશના કેટલાક વિસ્તારોમાં સામે આવેલા વાયરસના બદલાવવાળા સ્ટ્રેન એટલે કે ડબલ મ્યુટેશન વેરીઅંટના મહારાષ્ટ્રમાં ૨૦૬ અને દીલ્હીમાં ૯ સંક્રમિતોની ઓળખ થઇ છે. રાજ્યો તરફથી જાહેર કરવામાં આવેલી જીનોમ સીક્વેંસિંગની રીપોર્ટમાં ૭૭૧માં નવા સ્ટ્રેન જોવાયા છે. તેમાંથી ૭૩૬ નમૂના બ્રિટીશ વેરિઅંટના જોવા મળ્યા છે.
દેશમાં બ્રિટીશ અને આફ્રીકી સ્ટ્રેનના કેટલાય કિસ્સાઓ સામે આવ્યા બાદ કોવિડ-૧૯ વેક્સિન એક્સપર્ટ ડો. એન.કે. અરોરાએ કહ્યુ કે બ્રિટનનો વેરીઅંટ ઝડપથી ફેલાય છે પણ તેના ઘાતક હોવાની જાણકારી નથી. આપણી વેક્સિન આ વેરીઅંટ પર કારગર સાબિત થઇ છે. તો ડબલ મ્યુટેશની વાત પર જેનેસ્ટ્રિંગ ડાયગ્નોસ્ટિક કહે છે કે ડબલ મ્યુટેશન ચિંતા પેદા કરે તેવું છે. જો આવુ થયુ તો કોરોના સંક્રમિત થયા પછી જે લોકો સાજા થયા છે. તેમનામાં ફરી સંક્રમણ થવાનો ખતરો છે.
કોરોનાના આ નવા વેરીઅંટે પંજાબમાં તેની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે. તપાસ માટે મોકલવામાં આવેલા ૪૦૧ સેમ્પલમાંથી ૩૨૬માં વાયરસનો યુકે વેરીઅંટ સામે આવ્યો. ૮૧ ટકા સેમ્પલમાં યુકેમાં મળી આવતો સ્ટ્રેન જોવાતાં પંજાબની ચિંતા વધી ગઇ છે.પંજાબના પટિયાલા, હોશિયારપુર, લુધીયાણા, જાલંધર અને ફતેહગઢ સાહિબ સહીત કેટલાય શહેરોમાં નાઇટ કર્ફયું લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન રાત્રીના ૯થી સવારે પાંચ વાગ્યા સુધી પ્રતિબંધ લગાવાયો છે. તો મધ્યપ્રદેશમાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. તેને જોતા શિવરાજ સરકારે રાજ્યના ચાર મોટા શહેરોમાં લોકાડાઉનનો નિર્ણય લીધો છે. બૈતુલ, છિંદવાડા, ખરગોન અને રતલામમાં પણ રવિવારે લોકડાઉન લગાવાશે. તો આ પહેલાં કોરોનાના વધતા કેસોને જોતા ઇન્દોર,ભોપાલ અને જબરલપુરમાં કોરોનાના પગલે લોકડાઉન લગાવવામાં આવ્યુ છે.જો સ્થિતી વધારે વિસ્ફોટક બનશે તો કડક પગલાં પણ સરકાર ભરી શકે છે.
જો કે કહેવામાં આવી રહ્યુ છે કે વાયરસની આ નવી પેટર્ન શરીરના ઇમ્યુન સિસ્ટમથી બચીને સંક્રમણને વધારે છે. વાયરસનું આ મ્યુટેશન લગભગ ૧પથી ૨૦ ટકા નમૂનાઓમાં મળી આવ્યું છે. જ્યારે તે ચિંતા કરનારા મ્યુટેશન સાથે મેળ ખાતુ નથી.તો મહારાષ્ટ્રમાં મળેલા નમૂનાઓના વિશ્લેષણથી ખબર પડે છે કે ડિસેમ્બરની સરખામણીમાં ઇ-૪૮૪ અને એલ-૪પ૨ આર. મ્યુટેશનમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય મુસાફરોનું દેશમાં આગમન થતાં અને અન્ય રોગીઓમાંથી લેવામાં આવેલા નમૂનાની જીનોમ સિક્વેસિંગ અને તેના વિશ્લેષણ બાદ સામે આવ્યુ છે કે આવા સંક્રમિતોની સંખ્યા ૧૦ છે.જો કે દેશમાં જે પ્રકારે કોરોના સંક્રમિતોમાં ઉછાળો આવી રહ્યો છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે કોરોનાનું આ નવુ વેરીઅંટ ભારતના મોટાભાગના રાજ્યોમાં કેર વર્તાવી રહ્યુ છે. તેની સામે હાલમાં સવાચેતી સિવાય કોઇ બીજું હથિયાર ઉપયોગી નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો..