નડિયાદના ચકચારી લવ જેહાદ કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. પોતાના પર શારીરિક માનસિક અત્યાચાર થયો હોવાની ફરિયાદ કરનાર યુવતીએ અગાઉના નિવેદનોથી પલટી મારી છે.મંગળવારના રોજ ભોગ બનનાર યુવતીએ પોલીસને અરજી આપી છે, જેમાં તેણીને યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી, તેની સાથે જ રહેવાની ઈચ્છા હોય, યાસરને મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
યુવતીએ પોલીસને અરજી આપી બીજી તરફ યાસરની જામીન અરજી પાછી ખેંચાતા યુવતીનો નિર્ણય મરજીથી કે દબાણથી તે તપાસનો વિષય બન્યો છે. ગત 24 માર્ચના રોજ નડિયાદની પીડિત યુવતી દ્વારા યાસરખાન પઠાણ અને તેના પરિવારજનો સહિત કુલ 10 શખ્સો વિરુદ્ધ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવો, મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા, તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ એચ.સી.એસ.ટી સેલમાં આપવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી યાસરખાન પઠાણ દ્વારા કેવી રીતે તેણીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો, એકલી વિદેશ મોકલી દીધી અને પરત આવ્યા બાદ પણ ભાડાના મકાનમાં ગોંધી રાખી યાસર સહિત તેના ભાઈ, પિતા, માતાં સહિતના પરિવારજનોએ અનેક પ્રકારે અત્યાચાર ગુજાર્યો હોવાની રુંવાડા ઊભા કરી દેતી વિગતો સાથેની ફરિયાદ અને એફિડેવિટ કરી હતી.
ગુનાની ગંભીરતાને પગલે 24 કલાકમાં મુખ્ય આરોપીના ભાઈ, પિતા, માતા સહિત 7 લોકોને ઝડપી જેલ ભેગા કરી દેવાયા હતા. જેના 17 દિવસ બાદ 11 એપ્રિલના રોજ થાકી હારીને આરોપી યાસર પણ પોલીસના શરણે થઈ ગયો હતો. પરંતુ 26 એપ્રિલ મંગળવારના રોજ ભોગ બનનાર યુવતી પોલીસ પાસે પહોંચી હતી, અને જાણે કે તેનું માઈન્ડ વોસ થઇ ગયુ હોય તેમ યાસર તરફે અરજી રજૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રીચાએ યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી રહેવા માંગતી હોય યાસરને છોડવા માટે રજૂઆત કરતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે.
જે રીતે સમગ્ર કેસમાં વળાંક આવ્યો છે, તેને જોતા ધારાશાસ્ત્રીઓનું માનવું છે કે, આરોપી તરફે વકીલ હવે યુવતીનું એફિડેવિટ રજૂ કરી યાસર સહિત તમામ આરોપીઓને જામીન પર છોડાવવા અરજી કરી શકે છે. બીજી તરફ સમગ્ર કેસને વિડ્રો કરવા હાઇકોર્ટમાં પણ અરજી થઇ શકે છે