Rajkot News: રાજકોટના અગ્નિકાંડના (Rajkot Fire Tragedy) મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અગ્નિકાંડને લઈને સમગ્ર રાજકોટમાં ભારેલો અગ્નિ જોતાં તપાસને પણ વધારે તીવ્ર બનાવવી પડી છે. આ ઘટનામાં તંત્રની સૌથી મોટી મથામણ ગાળિયો કોના શિરે નાખવો તેની છે. બીજા શબ્દોમાં કહીએ તો બલિના બકરો શોધવાની કવાયતે વેગ પકડ્યો છે.
આ ગેમિંગ ઝોન રાજકોટ મનપાની કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાર વર્ષથી ચાલતો હતો. તેના પગલે આ ગેમ ઝોન મંજૂરી વગર ચાલતો હોવા છતાં ચાર-ચાર વર્ષથી રાજકોટ મનપાએ કેમ પગલાં ન લીધા તે મોટો સવાલ છે. હાઇકોર્ટે પણ કહેવું પડ્યું છે કે રાજકોટ મનપાની આંખે અંધાપો આવી ગયો હતો કે તેને ગેરકાયદેસર રીતે ચાલતો આટલો મોટો ગેમિંગ ઝોન ન દેખાયો. તેના પગલે આ ચાર વર્ષમાં રાજકોટમાં કામ કરી ગયેલા મ્યુનિસિપાલિટી કમિશ્નરોની પણ વિગતો માંગવામાં આવી છે.
આ કવાયતમાં આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પોલીસ ભવન પહોંચ્યા હતા. આઈએએસ, 3 આઈપીએસની ડીજીપી દ્વારા તબક્કાવાર પૂછપરછ હાથ ધરાઈ છે.
તત્કાલિન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસે તેડું મોકલ્યું છે. ગેરકાયદેસર રીતે ધમધમતા ‘ડેથઝોન’ બનેલા ગેમઝોન માર્ચ 2021થી ચાલતું હોવા છતાં તે દૂર કરવા માટે ટીપી શાખાએ કેમ કોઈ કાર્યવાહી ન કરી અને ગેમ ઝોનનું ડિમોલિશન અટકાવવા કોણ આડું ઉતર્યું એ દિશામાં હવે તપાસ વેગવંતી બની છે. જેમાં તપાસના મૂળ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાંચે વર્ષ 2021થી વર્ષ 2024 દરમિયાન વોર્ડ નં.10માં ફરજ બજાવનારા વોર્ડ ઓફિસરોથી લઈ ટીપી શાખાના તત્કાલિન એટીપી, એઇઇ, વર્ક આસિસ્ટન્ટ અને સર્વેયરને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચે તેડું મોકલ્યું છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ
આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું
આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા