નવી દિલ્હી,
રાફેલ સોદાના મામલે કેન્દ્ર સરકારે સર્વોચ્ચ ન્યાયાલયને મંગળવારની સુનાવણી ટાળવાની અપીલ કરી છે અને કહ્યું છે કે તેઓને એફિડેવિટ જમા કરાવવા માટે વધુ સમયની જરૂરિયાત છે. સરકારે મુખ્ય ન્યાયાધીશની બેન્ચ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કેન્દ્ર સરકારે અરજી પર જવાબ દાખલ કરવાની જરૂરિયાતને આધારે ન્યાયાલયમાં વધુ સમય માંગીને સુનાવણી સ્થગિત કરવાનો પત્ર પણ પ્રસારિત કરવા માટે સર્વોચ્ચ ન્યાયાલય પાસે સંમતિ માંગી છે. સર્વોચ્ચ ન્યાયાલયે પણ કેન્દ્રને સુનાવણી સ્થગિત કરવાનો પત્ર આ કેસને સંલગ્ન પક્ષોને મોકલવાની સંમતિ આપી છે. ન્યાયાલય સરકારના પ્રસ્તાવ પર પછી નિર્ણય લેશે.
અગાઉ ન્યાયાલયે 10 એપ્રિલના રોજ થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલી પ્રાથમિક આપત્તિઓને પણ ફગાવી દીધી હતી. કેન્દ્રએ દસ્તાવેજો પર વિશેષાધિકારો દાવો કરતા કહ્યું હતું કે રાફેલ લડાકુ વિમાનના સોદાની બીજી વાર તપાસ માટે તેના પર ભરોસો ના કરી શકાય.
ન્યાયાલયે કહ્યું હતું કે સાર્વજનિક દસ્તાવેજના આધાર પર અરજી પર સુનાવણી કરવા માટે કોર્ટ તૈયાર છે. ન્યાયાલયમાં રાખવામાં આવેલ દસ્તાવેજો માન્ય છે. સરકારે આ દસ્તાવેજો પર વિશેષાધિકાર દર્શાવતા કહ્યું હતું કે અરજીકર્તાએ આ દસ્તાવેજો ગેરકાયદેસર રીતે હાંસલ કર્યા છે.