પૃથ્વી પર અંતરિક્ષ જેટલી જ જગ્યાઓ રહસ્યોથી ભરેલી છે અને તેનાથી પણ વધુ રહસ્યમય જગ્યાઓ પૃથ્વીની નીચે આવેલી છે. એટલું જ નહીં, દરિયાઈ જીવનમાં પણ ગૂઢ રહસ્ય રહેલું છે. આ રહસ્ય જાણવા માટે ભારતે તેનું પ્રથમ માનવસહિત દરિયાઈ મિશન શરૂ કર્યું છે. આ મિશનનો હેતુ સમુદ્રની ઊંડાઈમાં સંશોધન કરવાનો છે. આ મિશન શરૂ થતાંની સાથે જ ભારત પણ એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જે સમુદ્ર પર અભ્યાસ અને સંશોધન કરી રહ્યા છે.
ભારતનો પહેલો સમુદ્રયાન પ્રોજેક્ટ શુકવારે યુનિયન મિનિસ્ટર જિતેન્દ્ર સિંહ દ્વારા ચેન્નાઈ ખાતે લોન્ચ કરવામાં આવ્યો હતો. જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ખૂબ પ્રગતિ કરી છે અને તે ગગનયાન કાર્યક્રમના ભાગરૂપે અવકાશમાં જાય છે અને હવે સમુદ્રમાં ઊંડા ઉતરશે.
શું છે આ મિશનની ખૂબી?
સમુદ્રની નીચે ભારતનું આ પ્રથમ મિશન છે એટલા માટે આ મિશન ભારત માટે વધુ ખાસ છે. આ મિશન હેઠળ ભારત લાંબા સમય સુધી સમુદ્રની નીચે શોધખોળ કરી ગૂઢ રહસ્યોને દુનિયાની સામે છત્તા કરશે. આ મિશન ભારતના મહાસાગર મિશનનો એક ભાગ છે.
કેટલા કરોડ રૂપિયાનું છે આ મિશન?
સમુદ્રયાન એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજીના મહાસાગર મિશનનો એક ભાગ છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે 6 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સમુદ્રયાન મત્સ્ય-6000 ટાઇટેનિયમ ધાતુથી બનેલું છે. તેનો વ્યાસ 2.1 મીટર છે. આ વાહન ત્રણ લોકોને દરિયાના ઊંડાણમાં લઈ જવા સક્ષમ છે.
96 કલાક સુધી સમુદ્રમાં નીચે રહી શકાય છે
સામાન્ય સ્થિતિમાં સમુદ્રયાન 12 કલાક સુધી દરિયાની ઊંડાઈમાં રહી શકે છે.કટોકટીની સ્થિતિમાં 96 કલાક સુધી દરિયામાં રહેવા માટે સક્ષમ છે. સમુદ્રયાન 1000 થી 5500 મીટરની ઊંડાઈ સુધી કામ કરી શકે છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ
આ વાહનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે સમુદ્રના ઊંડાણમાં પણ શોધ કરી શકે છે. જેમાં પોલીમેટાલિક મેગેઝીન, નોડ્યુલ્સ, હાઇડ્રેટ ગેસ, હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ છે. મત્સ્ય-6000 ડિસેમ્બર 2024 સુધીમાં તેના તમામ ટ્રાયલ માટે તૈયાર થઈ જશે. તેને 2022-23ના અંત સુધીમાં 500 મીટર માટે તૈયાર કરવામાં આવશે.