નવી દિલ્હી
યોગગુરુ બાબા રામદેવે અમિત શાહની હાજરીમાં નરેન્દ્ર મોદી સરકારની ખૂબ પ્રશંસા કરી હતી. બાબા રામદેવે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ દેશની કરોડો માતાના આંસુ લૂછ્યાં છે. બાબા રામદેવે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાની પણ પ્રસંશા કરી હતી. હકીકતમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે (તા. 4 જૂને) યોગગુરુ બાબા રામદેવની મુલાકાત લીધી હતી.
કેન્દ્રની મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે અમિત શાહ ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન અંતર્ગત દેશના પ્રતિષ્ઠિત નામી વ્યક્તિઓની મુલાકાત લઈ રહ્યા છે. આ મામલામાં આજે તેઓ (અમિત શાહ) યોગગુરુ બાબા રામદેવના દિલ્હી સ્થિત પતંજલિ આશ્રમ પહોંચ્યા હતા. અમિત શાહે બાબા રામદેવ પાસે પોતાની સરકારની માટે રામદેવનું સમર્થન માંગ્યું હતું. બાબા રામદેવ અને અમિત શાહની મુલાકાત પછી જયારે મીડિયાએ તેમનો ઈન્ટરવ્યું લીધો તો બાબાએ મોદી સરકારની પ્રશંસા કરી હતી.
રામદેવે કહ્યું હતું કે, નાનપણમાં તેઓ પણ રસોઈ કરતા સમયે ધુમાડાની સામે ઝઝુમતી પોતાની માતાને જોયા કરતા હતા. આ દરમિયાન તેમની માતાની આંખોમાંથી આંસુ નીકળી જતાં હતા. બાબા રામદેવે વધુમાં જણાવ્યું હતું કે, આ કારણોસર તેમની માતાની આંખો નબળી પડી ગઈ હતી.
યોગગુરુએ કહ્યું હતું કે, એવી કરોડો માતાઓની આંખોના આંસુને મોદી સરકારની ઉજ્જવલા યોજના દ્વારા ગેસ સિલિન્ડર આપીને લૂછ્યાં છે. તેમને કહ્યું હતું કે, વિદેશમાં પીએમ મોદીને જેટલું સન્માન મળી રહ્યું છે, તેટલો પ્રેમ અને સન્માન અન્ય કોઈ નેતાને મળ્યા નથી.
બાબા રામદેવે વધુમાં કહ્યું હતું કે, પીએમ મોદીએ યોગને સમગ્ર દુનિયામાં લોકપ્રિય બનાવ્યો છે. તેમણે સડક નિર્માણના ક્ષેત્રમાં સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. બાબા રામદેવે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી દરરોજ ૧૮-૧૮ કલાક કામ કરે છે. યોગગુરુએ કહ્યું કે, સરકારે ચાર વર્ષમાં કેટલું કામ કર્યું છે તે સૌ જાણે છે.
આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, પાર્ટી છેલ્લા ચાર વર્ષના કામકાજનો હિસાબ ઘરે ઘરે જઈને આપી રહી છે. ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન અંતર્ગત અમિત શાહ આ અગાઉ પૂર્વ આર્મી ચીફ દલબીરસિંહ સુહાગ અને ક્રિકેટર કપિલ દેવની સાથે મુલાકાત કરી ચૂક્યા છે.