કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી એવા આત્મમુગ્ધ નેતા છે જેમણે સ્ટેડિયમનું નામકરણ પોતાના નામ પર કરાવ્યું એટલું જ નહીં તેમણે કોરોના વેક્સીનેશન સર્ટિફિકેટ પર પોતાનો ફોટોગ્રાફ પ્રિન્ટ કરાવ્યો. એ દિવસ દૂર નથી જ્યારે ભારતનું નામ તેમના નામ પર રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કોલકાતામાં એક રેલીની આગેવાની કરતા મમતાએ કહ્યું કે પીએમે એક સ્ટેડિયમનું નામકરણ પોતાના નામે કરાવ્યું છે, તેમણે કોવિડ-19 રસીકરણ સર્ટિફિકેટમાં પોતાનો ફોટોગ્રાફ લગાવ્યો છે. પીએમના કહેવા પર ઇસરોએ તેમનો ફોટો સ્પેસ પર મોકલ્યો છે. એક દિવસ એવો આવશે જ્યારે દેશનું નામકરણ તેમના પર હશે.”
કોલકાતાના જાણીતા બ્રિગેડ ગ્રાઉન્ડ પર એક દિવસ પહેલા થયેલી રેલીમાં પીએમ મોદી તરફથી ઇલેક્ટ્રિક સ્કૂટર રાઇડને લઇને મમતા પર કરવામાં આવેલી કોમેન્ટને લઇને બંગાળના સીએમે કહ્યું કે પીએમે બ્રિગેડને બી-ગ્રેડ બનાવી દીધું. મમતાએ કહ્યું, ‘તેઓ (ભાજપ નેતા) બંગાળમાં કેવળ ચૂંટણી સમયે આવે છે અને અફવાઓ ફેલાવે છે. તેઓ મહિલા સુરક્ષાને લઇને અમને ભાષણ આપે છે, ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓની શું સ્થિતિ છે? મોદીના પસંદગીના ગુજરાતમાં શું સ્થિતિ છે?’