મોંઘવારીએ હવે સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે. તમે વર્ષ 2014 પહેલા એક ખૂબ ચર્ચિત બોલિવૂડ ગીત સાંભળ્યુ હશે, “સખી સૈયા તો ખૂબ હી કમાત હૈ, મહેગાઇ ડાયન ખાય જાત હૈ” કઇક આવી જ પરિસ્થિતિ દેશમાં આજે જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, તાજેતરમાં સમાચાર સામે આવી રહ્યા છે કે, સ્થાનિક એલપીજી ગેસના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – Covid-19 / મંગળવારે આવેલા ઘટાડા બાદ આજે કોરોનાનાં નવા કેસોમાં થયો વધારો
આપને જણાવી દઇએ કે, મંગળવારે ઘરેલું એલપીજી ગેસની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કિંમતોમાં વધારા બાદ દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડર (14.2 કિલો) ની કિંમત 859 રૂપિયા થઈ ગઈ છે. દેશભરમાં ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, સતત બીજા મહિને ઘરેલુ ગેસનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 1 જુલાઈએ ગેસનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે ગેસની કિંમત 809 રૂપિયા હતી જે વધારીને 834 રૂપિયા કરવામાં આવી હતી. 1 જાન્યુઆરીથી 17 ઓગસ્ટ વચ્ચે ઘરેલું એલપીજી ગેસનાં ભાવની વાત કરીએ તો તેમાં 165 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઓઇલ ક્ષેત્રનાં નિરીક્ષકોનું કહેવું છે કે સંસદ સત્રને કારણે ગેસ કંપનીઓએ 1 ઓગસ્ટનાં રોજ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો ન હતો, જેથી સરકાર પર દબાણ ન આવે. મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારની અપીલ બાદ મોટાભાગનાં લોકોએ એલપીજી સિલિન્ડર પરની સબસિડી છોડી દીધી છે, તેથી તેમને ગેસની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે. મહત્વની બાબત એ છે કે હાલમાં ઇલેક્ટ્રિક રસોઈ એલપીજી ગેસ કરતાં સસ્તી છે.
આ પણ વાંચો – આતંકનો ઓછાયો / અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત બાદ બુર્ખાની કિંમતમાં 10 ઘણો વધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાની શરૂઆત કરી હતી, જેમાં જરૂરિયાતમંદ લોકોને ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. આ યોજનાનાં પ્રથમ તબક્કામાં 8 કરોડ લોકોને એલપીજી કનેક્શન આપવામાં આવ્યા હતા જે ગરીબી રેખા નીચે હતા. આ યોજનાનાં બીજા તબક્કામાં એક કરોડથી વધુ લોકોને એલપીજી ગેસ કનેક્શન આપવાનું સરકારનું લક્ષ્ય છે. જે બાદ દેશમાં કુલ 30 કરોડ એલપીજી ગેસ જોડાણો હશે. દેશભરમાં પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આસમાને છે. દિલ્હીમાં, જ્યાં પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લીટર છે, ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયુ છે. ઉલ્લેખનીય છે કે, આજે મોંઘવારીએ દેશમાં જે સ્વરૂપ ઘારણ કર્યુ છે, જેને જોઇને આવનારો સમય કેવો આવશે તેનો પણ અંદાજો લગાવી શકાય છે.