દિલ્લી,
ભારત અને પાડોશી દેશ ચીન વચ્ચે ચાલી રહેલા સીમાતટીય જમીન વિવાદને લઇ જોવા મળતી તંગદિલી વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. અરુણાચલ પ્રદેશના અસફિલા ક્ષેત્રમાં ચીન દ્વારા કરવામાં આવેલા દાવા બાદ ચીની સૈનિકોની ઘુસપેઠ અંગે આ ખુલાસો થયો છે.
ચીનની ઘુસપેઠ અંગેના ગુપ્ત રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ચીનના સૈનિકો લદ્દાખમાં પૈગોંગ તળાવ પાસે ભારતીય સીમમાં ૬ કિમી અંદર સુધી આવી ગયા હતા. ભારતીય તિબ્બત બોર્ડર પોલીસ (ITBP) દ્વારા ગૃહ મંત્રાલયને આપવામાં આવેલા એક રિપોર્ટમાં આ મામલે તમામ જાણકારી આપવામાં આવી છે.
ITBP દ્વારા ગૃહ મંત્રાલયને આપવામાં આવ્યો રિપોર્ટ
ચીનને લદ્દાખ સેક્ટરમાં આ વર્ષના માર્ચ મહિનામાં સૌથી વધુ ઘુસપેઠની કોશિશ કરી હતી. ચીનના સૈનિકો દ્વારા છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન ૨૦ વાર ભારત-ચીન બોર્ડર પર ઘુસપેઠ કરી હતી.
ITBP દ્વારા ગૃહ મંત્રાલયને આપવામાં આવેલા રિપોર્ટ મુજબ, ચીન દ્વારા ઉત્તરી પૈગોંગ તળાવ પાસે ૨૮ ફેબ્રુઆરી, ૭ માર્ચ અને ૧૨ માર્ચના રોજ ઘુસપેઠ કરી હતી. ITBP દ્વારા ચીનની આ ઘુસપેઠનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પૈગોંગ તળાવ પાસે ચીની સૈનિકોએ ત્રણ વાર ઘુસપેઠ કરી હતી અને તેઓ ભારતીય સીમમાં ૬ કિમી અંદર સુધી આવી ગયા હતા
ITBPના વિરોધ બાદ પાછા ફર્યા ચીની સૈનિકો
અરુણાચલ પ્રદેશના પૈગોંગનો એ જ વિસ્તાર છે જ્યાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીની સૈનિકોએ ITBPના જવાનો પર પથ્થરબાજી કરી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચીની સૈનિકોએ ઉત્તરી પૈગોંગમાં ભારતીય સીમા બળના જવાનો સાથે ઘર્ષણ કરવાની કોશિશ કરી હતી પરંતુ ITBPના જવાનોએ તેને નિષ્ફળ બનાવી હતી.