પાકિસ્તાની જેલમાં કેદ ૧૪૭ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કર્યાં બાદ સોમવારે વાઘા બોર્ડેર ખાતે પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી સુરક્ષા એજન્સીઓ દ્વારા રેલમાર્ગે આ તમામ માછીમારોને ગુજરાત મોકલાશે. મહત્વનું છે કે, આ માછીમારોને ૮ જાન્યુઆરીના રોજ મુક્ત કરવાના હતા પણ પાકિસ્તાન દ્વારા એક દિવસ અગાઉ મુક્ત કર્યાં છે. બીજી બાજુ માછીમારોનાં પરિવારજનોમાં ભારે ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ માછીમારોને પાકિસ્તાની જળ ક્ષેત્રમાં કથિત રીતે માછલી પકડવાનાં આરોપને કારણે આઠ મહિના સુધી કરાંચીની એક જેલમાં બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આ પહેલા ૨૮ ડિસેમ્બરનાં રોજ પાકિસ્તાને પ્રથમ હરોળમાં ૧૪૫ ભારતીય માછીમારોને આઝાદ કર્યા હતાં. મળતી માહિતી મુજબ, લગભગ ૨૬૨ ભારતીય માછીમારો મલીર જેલમાં હજી પણ કેદ છે.
