લાહોર,
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા અને વર્ષ ૧૮૯૭માં સ્થાપિત કરાયેલા કૃષ્ણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની યોજના બનાવવામાં આવી છે. રાવલપિંડી સ્થિત આ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરકાર દ્વારા બે કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાવલપીંડી અને ઈસ્લામાંબાદમાં માત્ર કૃષ્ણ મંદિર જ એવા હિન્દુ ધાર્મિક સ્થળ છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવેલા છે. મંદિરમાં સવાર સાંજ આરતી પણ કરવામાં આવે છે.
ઈવાક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના વહીવટકર્તા મોહમ્મદ આસિફે જણાવ્યુ હતુ કે, રાજયની વિધાનસભાના એક સભ્યની વિનંતીને લઈને સરકારે મંદિરના જીર્ણોદ્ધાર માટે બે કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, મંદિરના જીર્ણોદ્ધારનુ કામ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. એક ટીમે મંદિરની મુલાકાત પણ લીધી છે અને કામ શરૂ કરવાની યોજના પણ તૈયાર કરી લીધી છે. મંદિરના જીર્ણોદ્ધાર દરમિયાન ગર્ભગૃહને શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવશે. મંદિરના જીર્ણોદ્ધારની સાથે સાથે તેના કેમ્પસમાં પણ વધારો કરવામાં આવશે. જેથી મંદિરમાં વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રીત થઈ શકશે.
આસિફે ઉમેર્યુ હતુ કે, અત્યારે મંદિર નાનું હોવાથી આસપાસના લોકોને ધાર્મિક પ્રસંગો દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે જીર્ણોદ્ધારનુ કામ પુર્ણ થયા બાદ આસપાસના બન્ને શહરે અને નજીકના વિસ્તારોના શ્રદ્ધાળુઓ અહીં સરળતાથી એકત્રિત થઈ શકશે.