દિલ્હી હાઈકોર્ટ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની જામીન અરજી પર આજે પોતાનો આદેશ જાહેર કરી શકે છે. આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ચિદમ્બરમ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સુરેશ કૈતે 8 નવેમ્બરે જામીન અરજી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કોંગ્રેસનાં 74 વર્ષીય નેતાએ જામીન માટે વિનંતી કરી છે જેમાં જણાવ્યું છે કે પુરાવા દસ્તાવેજી પ્રકૃતિમાં છે અને તપાસ એજન્સીઓ પાસે છે. તેથી, તે તેમા કોઇ ચાલાકી કરી શકતા નથી.
ઇડીએ 8 નવેમ્બરનાં રોજ ચિદમ્બરમની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરવા અને ધમકાવવાનો પ્રયાસ કરી શકે છે. ઇડીનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે મની લોન્ડરિંગ કેસમાં અને સીબીઆઈ કેસમાં પીએમએલએ (મની લોન્ડરિંગ કાયદો) મામલે અલગ પુરાવા છે. મહેતાએ કહ્યું કે તે આર્થિક ગુનો છે, જે અલગ જ છે.
ચિદમ્બરમ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, શરૂઆતથી જ તપાસ એજન્સીનો મામલો નહોતો કે કોંગ્રેસનાં નેતાએ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અચાનક ઓક્ટોબરમાં (ચિદમ્બરમ કસ્ટડીમાં હોવાથી) એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે મહત્વપૂર્ણ સાક્ષીઓ પર દબાણ લાવી શકે છે અને તેઓને પ્રભાવિત કરી શકે છે. ચિદમ્બરમે ઇડીનાં આ દાવાને નકારી કાઠ્યો હતો કે તેમણે નાણાંમંત્રી પદનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો હતો.
પી.ચિદમ્બરમે કહ્યું હતું કે અદાલત સમક્ષ અત્યાર સુધીમાં કંઇપણ ચીજ તેમને કથિત ગુનાથી સીધા કે આડકતરી રીતે જોડતું નથી. ચિદમ્બરમે 22 ઓક્ટોબરનાં સુપ્રીમ કોર્ટનાં સીબીઆઈ કેસમાં તેમને જામીન આપવાના હુકમનો ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે એમ કહેવામાં આવે છે કે તેમના પર પુરાવા સાથે ચેડા કરવા, વિદેશ ભાગી જવા અને ભ્રષ્ટાચારનાં કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પુરાવો નથી.