ગાઝામાં, ઇઝરાયેલી દળો ઉત્તરીય ભાગમાં ઊંડે સુધી ઘૂસી ગયા છે, જ્યારે દક્ષિણમાં, ઇઝરાયેલી ટેન્ક અને સૈનિકો રફાહ તરફ જતા હાઇવે પર આગળ વધી રહ્યા છે. હમાસ અને ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ ગાઝાના કેટલાક વિસ્તારોમાં ફરી એકઠા થયા હોવાથી લડાઈ ફરી તીવ્ર બની છે.
સુરક્ષિત ભવિષ્ય માટે લડવું જરૂરી-નેતન્યાહુ
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે અમે લડાઈ અધવચ્ચે છોડી શકીએ નહીં. આપણી આઝાદીની લડાઈ હજી પૂરી થઈ નથી, તે આ દિવસોમાં પણ ચાલુ છે. આપણે આપણા સુરક્ષિત ભવિષ્ય માટે લડવું પડશે અને હમાસને ખતમ કરવી પડશે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે ઉત્તરી ગાઝામાં રાતોરાત ક્રેકડાઉન શરૂ કર્યું છે. IDF સેન્ટ્રલ ગાઝામાં ઝિતોન અને પૂર્વી રફાહમાં મોટા પાયે હુમલા કરી રહ્યું છે. આમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ જ કારણ છે કે રફાહમાંથી પેલેસ્ટિનિયનોનું સ્થળાંતર વધ્યું છે. તે જ સમયે, ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીના જવાબમાં, હમાસે દક્ષિણ ઇઝરાયેલમાં રોકેટ હુમલો કર્યો, જેમાં 3 લોકો ઘાયલ થયા.
સોમવારે ગાઝામાં વિવિધ સ્થળોએ કુલ 57 લોકો માર્યા ગયા હતા. આ સહિત ગાઝામાં સાત મહિનાના યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની કુલ સંખ્યા 35,091 પર પહોંચી ગઈ છે. ગાઝા પટ્ટીના ઉત્તર અને દક્ષિણમાં ફરી ભીષણ લડાઈ ફાટી નીકળી છે. સૌથી મોટા શહેર ગાઝા શહેરમાં એક ઘરને નિશાન બનાવીને કરાયેલા ઈઝરાયેલ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે.
પેલેસ્ટિનિયનો કરી રહ્યા છે હિજરત
રફાહમાં ઇઝરાયલી હુમલામાં વિદેશી મૂળના એક યુએન કાર્યકર માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે ઈજિપ્તની સરહદ પર સ્થિત રફાહમાં આશ્રય લઈ રહેલા પેલેસ્ટાઈનીઓનું સ્થળાંતર ચાલુ છે. અત્યાર સુધીમાં, 3,60,000 થી વધુ શરણાર્થીઓ ખાન યુનિસ અને અન્ય કેટલાક વિસ્તારોમાં ગયા છે. પરંતુ રફાહમાં હજુ પણ લગભગ 10 લાખ બેઘર લોકો છે.
વિદેશી રાહત સામગ્રી રફાહ પહોંચતી બંધ થઈ ગઈ
દરમિયાન, ઇજિપ્ત દ્વારા સરહદ બંધ કરવાના કારણે, વિદેશી રાહત સામગ્રી રફાહ પહોંચવાનું બંધ થઈ ગયું છે. માનવાધિકાર સંગઠનોએ આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રાહત સામગ્રી વિના રફાહમાં જીવન મુશ્કેલ બની જશે. 75 વર્ષ જૂના જબાલિયા શરણાર્થી વિસ્તારમાં પહોંચ્યા બાદ ઇઝરાયેલની ટેન્ક તબાહી મચાવી રહી છે. રવિવાર-સોમવારની રાત્રે થયેલા હુમલામાં માર્યા ગયેલા 20 થી વધુ લોકોના મૃતદેહ ઘણા ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અહીંના લોકોને ખબર નથી કે તેમની સુરક્ષા માટે ક્યાં જવું.
ઈઝરાયેલી સેનાએ જાન્યુઆરીમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા જબાલિયામાંથી હમાસને ખતમ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ ફરી એકવાર હમાસના લડવૈયાઓ ત્યાં હુમલાઓ ગોઠવી રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને કહ્યું છે કે ગાઝા યુદ્ધમાં ઘાયલ થયેલા એક હજારથી વધુ હમાસ લડવૈયાઓને તેમના દેશની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. તે હમાસને પ્રતિકારક સંગઠન માને છે. અર્દોગને આ વાત અંકારામાં ગ્રીકના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહી.
નોંધનીય છે કે ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. યુદ્ધવિરામની વાટાઘાટો અનિર્ણિત રહી ત્યારથી, ઇઝરાયેલી સેનાએ ગાઝાના જુદા જુદા વિસ્તારોમાં જમીન અને હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. છેલ્લા 24 કલાકમાં આ હુમલાઓમાં 63 લોકો માર્યા ગયા છે. આ સાથે, 7 ઓક્ટોબરથી ગાઝા પટ્ટીમાં મૃત્યુઆંક રવિવારે વધીને 35 હજારથી વધુ થઈ ગયો છે.
આ પણ વાંચો: CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ
આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું સંચાલન