ઘણાં સમય સુધી દુનિયાથી છુપાવ્યા બાદ છેવટે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીસ બુમરાહે ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશન સાથે પ્રભુતામાં પગલા માંડ્યા છે. આજે બુમરાહે એક ઘણાં જ ખાનગી કાર્યક્રમમાં ગોવામાં લગ્ન કર્યા. જેમાં એકબીજાના પરિવારજનો અને નજીકના મિત્રો સામેલ થયા. બુમરાહે આની જાણકારી ટ્વિટર પર શેર કરી છે.
બુમરાહે ટ્વિટ કરીને લખ્યું કે, ‘પ્રેમ જો તમને લાયક સમજે છે તો તમારી કિસ્મત બદલી નાંખે છે’ તેમણે આગળ લખ્યું કે-પ્રેમથી અમે બંધાયા, અમે એક નવી સફરની શરુઆત કરીએ છીએ. આજે અમારા જીવનની સૌથી સુંદર પળોમાંની એક છે. અને અમે અમારા લગ્ન અને ખુશીના સમાચાર તમારી સમક્ષ શેર (વહેંચી) કરી રહ્યા છીએ.
બુમરાહના લગ્નની ટ્વિટ બાદ બીસીસીઆઇ, કે.એલ.રાહુલ, હરભજનસિંહ અને સુરેશ રૈનાએ નવદંપત્તિને શુભેચ્છા પાઠવી છે.
મહત્વનું છે કે તાજેતરમાં જ બુમરાહે અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેને T-20 શ્રેણીમાં પણ આરામ આપવામાં આવ્યો છે.
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહને લગ્ન માટે વધુ સમય જોઈતો હતો એ કારણથી તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લેવા કહ્યું હતું. હવે લગ્ન બાદ બુમરાહ સીધો આઈપીએલ 2021માં જ ક્રિકેટના મેદાન પર પરત ફરશે.