સુરેન્દ્રનગર/ વ્હાલસોયા ભાઇના અસ્થિ વિસર્જન માટે લાડકી બહેન અમેરિકાથી કચ્છના નાના રણમાં આવી

જીગરજાન મિત્રોની હાજરીમાં રણમાં અસ્થિનું વિસર્જન કર્યું હતુ અને રણના કણ-કણ માટે ભાઇની ચાહનાને લીધે બહેન અસ્થિ કળશ લાવી હતી.

Gujarat
Untitled 305 1 વ્હાલસોયા ભાઇના અસ્થિ વિસર્જન માટે લાડકી બહેન અમેરિકાથી કચ્છના નાના રણમાં આવી

 

ભારતીય સંસ્કૃતિમાં જન્મના બંધન અને લાગણીના તાંતણાઓ કેટલા મજબૂત હોય છે. તેનું સચોટ ઉદાહરણ 46 વર્ષના ભાઇનું મૃત્યુ થયા પછી છેક અમેરિકાથી આવેલી લાડકી બહેને પુરૂ પાડ્યું હતુ. ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર મૃતક ભાઇ ગૌરવ જાનીને બાઇક રાઇડીંગનો ખુબ શોખ હતો. તેની રાઇડીંગ સોલો નામની ડોક્યુમેન્ટરી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે બાઇક પર વિવિધ સ્થળોએ ફરવા નિકળી પડતો હતો. એમાં પણ જ્યાં અગરિયા સમુદાય મીઠાની ખેતી કરે છે તે કચ્છનું નાનું રણ ગૌરવને અનહદ પ્રિય હતું. રણની રેતી સાથે મમતા બંધાઇ ગઇ હોવાથી અમદાવાદથી વારંવાર તે બાઇક પર અહીં આવતો હતો.

સૌ પ્રથમવાર સને 1999માં રણની મુલાકાત લીધી હતી. રણના એકાંત અને રણના સૌદર્યનું પરિવારના સભ્યોને પણ વર્ણન કરતો. અમેરિકા ખાતે રહેતી બહેન કૃપા અને ગૌરવ ટ્વીન ભાઇ-બહેન હતા. કૃપા રણમાં કણ-કણ બનીને વિખેરાઇ જવાની ભાઇની ઝંખના વિશે જાણતી હતી. રણ પ્રત્યે ભાઇનો લગાવ અને તેના કણ-કણની ચાહનાને લીધે બહેને રણમાં આવીને પરિવારજનો અને સ્વ.ભાઇના ખાસ મિત્રોની હાજરીમાં રણમાં અસ્થિનું વિસર્જન કર્યું ત્યારે ભાઇ-બહેનના લાગણીના સંબંધોના તાર ઝંકૃત થયા હતા. રણ માટેના આકર્ષણ અને પ્રેમથી પ્રેરાઇને જ બહેન સાત સમંદર પાર કરીને આવી હતી. પરિવારજનોએ જણાવ્યું કે રણ માટેનો સ્વ.ગૌરવનો પ્રેમ જ અહીં સુધી અમને ખેંચી લાવ્યો છે. અને તેની રણના કણ-કણમાં સમાઇ જવાની ઇચ્છાને પૂર્ણ કરવા પ્રેરાયા છીએ.

આ અંગે રણના જાણીતા ફોટોગ્રાફર અંબુભાઇ પટેલ જણાવે છે કે, ગૌરવ જાની નામના એક ફિલ્મ મેકરનું તાજેતરમાં અમેરિકા ખાતે અવસાન થયું હતુ. એ ગૌરવ જાની પ્રથમ વખત કચ્છના નાના રણમાં 1999માં આવ્યા ત્યારે તેમને આ રણ ગમી ગયું. ગૌરવ જાની પોતે બાઈકર હતા અને બાઇક લઈને આખું ભારત ઘૂમતા. પરંતુ, તેમને આ રણ સાથે વિશેષ લગાવ થઇ ગયો. એટલે એ વારંવાર રણમાં આવતા. સાથે 60 kmph બાઈકર કલબના મિત્રોને પણ લઈને આવતા. અહીંયા ગૌરવ કલાકો સુધી રણ સામું જોઈ બેસી રહેતા. પરિવારમાં પણ એ રણની ખૂબ વાત કરતા. એ ગૌરવજાનીનું અવસાન થતાં તેમની બહેન કૃપા જાની અને તેમનો ભાઈ સહિત પરિવારજનો અને ગૌરવનું મિત્ર વર્તુળ કચ્છના નાના રણમાં આવી પહોંચ્યું. અને સ્વ.ગૌરવને ગમતા રણમાં તેના અસ્થિ પધરાવી ગૌરવને ગમતા રણમાં ગૌરવ કણ કણ બનીને પથરાઈ ગયો.