દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ રાજકારણ ગરમાયું છે. જેએનયુ વિદ્યાર્થી સંઘે એબીવીપીનાં વિદ્યાર્થીઓને આ હુમલા માટે દોષી ઠેરવ્યા છે. રવિવારે રાત્રે લગભગ 40-50 અજાણ્યા લોકો માસ્ક પહેરીને જેએનયુ કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓ પર લોખંડના સળિયા અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જેએનયુ સ્ટુડન્ટ યુનિયનનાં પ્રમુખ આઇશી ઘોષ અને મહિલા પ્રોફેસર સહિત ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેએનયુમાં થયેલા આ હુમલા અંગે હવે કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે.
જેએનયુમાં થયેલા હુમલા અંગે સોનિયા ગાંધીએ કહ્યું છે કે, ‘દરરોજ ભારતનાં યુવાનો અને વિદ્યાર્થીઓનાં અવાજો દબાવવામાં આવી રહ્યા છે. દેશનાં યુવાનોનો અવાજ દબાવવા માટે, મોદી સરકારનાં સંરક્ષણમાં ગુંડાઓની ભયાનક હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ નિરાશાજનક અને અસ્વીકાર્ય છે. ગઈકાલે દિલ્હીનાં જેએનયુ ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી પર થયેલા આ હુમલાને આ સરકાર દ્વારા લોકોની અસંમતિનાં અવાજને દબાવવા બદલ યાદ રાખવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી ભારતનાં યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે ઉભી છે.
વળી, કોંગ્રેસનાં નેતા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું, ‘ગઈકાલે આખા દેશમાં સરકાર દ્વારા પ્રાયોજિત ગુંડાગીરી અને આતંકવાદને જોવામાં આવ્યો. આ બધું જેએનયુ વહીવટ અને દિલ્હી પોલીસની દેખરેખ હેઠળ થયું, જેનો સીધો નિયંત્રણ ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવે છે. પોલીસની હાજરીમાં આ હિંસક હુમલો થયો હતો. જે રીતે ગર્લ્સ હોસ્ટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે રીતે ગુંડાઓ જેએનયુમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. જે રીતે પોલીસે 150 થી વધુ કોલનો જવાબ આપ્યો ન હતો. આ બતાવે છે કે દેશમાં હવે લોકશાહી રહી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.