Junagadh News: માંગરોળ તાલુકાના જામવાળી ગામમાં પુલના મુદ્દે ખેડૂત સાથે થયેલા વિવાદ બાદ ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા (Bhagwanji Kargathiya)ને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ખેડૂતને અપશબ્દો બોલતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે (Pravin Ram) ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા છે. પ્રવીણ રામે દારૂના અડ્ડાઓ અને ખનિજ માફિયાઓ સામે પણ આવી જ કડક કાર્યવાહી કરવા પડકાર ફેંકતા અનેક સવાલો ઉઠાવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
તાજેતરમાં માંગરોળના જામવાળી ગામે પુલના નિરીક્ષણ અને તોડકામની કાર્યવાહી દરમિયાન ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સરકારી અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન એક અરજદાર અને ખેડૂત સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ધારાસભ્ય ખેડૂતને અપશબ્દો બોલતા હોવાનું જોવા મળ્યું હતું.
ધારાસભ્યએ શું આપી હતી સ્પષ્ટતા?
વિવાદ બાદ ભગવાનજી કરગઠિયાએ જણાવ્યું હતું કે ડેપ્યુટી કલેક્ટરની મંજૂરી એક મીટરના પુલ માટે હતી, પરંતુ અરજદારે ત્રણથી ચાર મીટરનો પુલ બનાવી દીધો હતો. તેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાઈ આસપાસની ખેતીમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે કલેક્ટરના આદેશ અનુસાર સ્થળ તપાસ અને કાર્યવાહી માટે ગયા હતા. ત્યાં સામેવાળી વ્યક્તિ દ્વારા ઉગ્ર બોલાચાલી થતાં તેમણે તે પ્રકારના શબ્દો બોલ્યા હતા. સાથે જ તેમણે એવો દાવો કર્યો હતો કે આવા શબ્દો તેમના વિસ્તારની બોલચાલમાં “રૂટિન” તરીકે વપરાય છે.
Pravin Ramના આકરો પ્રહાર
આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે (Pravin Ram) આ નિવેદનની ટીકા કરતાં કહ્યું કે જનપ્રતિનિધિ દ્વારા ખેડૂત સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ કોઈપણ રીતે યોગ્ય નથી.તેમણે આક્ષેપ કર્યો કે જનપ્રતિનિધિનું કામ વિકાસના કાર્યો કરવાનું હોય છે, જ્યારે અહીં ખેડૂતોના હિત સાથે જોડાયેલા મુદ્દે વિવાદ સર્જાયો છે.
દારૂના અડ્ડા અને ખનિજ માફિયાઓ સામે કાર્યવાહીનો પડકાર
પ્રવીણ રામે ભાજપના ધારાસભ્યને ખુલ્લો પડકાર આપતાં કહ્યું કે જો ગાળો આપવી ખરેખર “રૂટિન” હોય તો પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ અને ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે તંત્રને સાથે રાખીને ક્યારે કાર્યવાહી કરવા જવાના છે તેની તારીખ અને સમય જાહેર કરે.તેમણે કહ્યું કે જો આવી કાર્યવાહી થશે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ સ્થળ પર પહોંચી સમર્થન આપશે.
ખેડૂતોની માફી માંગવાની કરી માંગ
પ્રવીણ રામે (Pravin Ram) જણાવ્યું કે જો ધારાસભ્ય પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા નહીં કરે અને ખેડૂતો સામે કરાયેલા અપમાન બદલ માફી નહીં માંગે તો ખેડૂત સમાજ આ મુદ્દે પોતાનો જવાબ લોકશાહી રીતે આપશે.તેમણે સરકાર પર ખેડૂતો પ્રત્યે બેવડું વલણ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો.
આ પણ વાંચો:ગીરમાં ઉતરાયણે ઈકોઝોન સામેનો વિરોધ: પ્રવીણ રામનું એલાન
આ પણ વાંચો:આપ નેતા પ્રવીણ રામનો પદયાત્રામા મોટો ઘટસ્ફોટ, તંત્ર સામે કર્યા આક્ષેપો
