કંગના રનૌતને હવે બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે દરેક વખતે તેને કોઈને કોઈ મુદ્દો મળી જાય છે, જેના કારણે સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ જાય છે. કંગના પોતે પણ ક્યારેય દલીલ કરવામાં પાછળ પડતી નથી. આવી સ્થિતિમાં આ વખતે મામલો થોડો આગળ વધી ગયો છે, કારણ કે અભિનેત્રી કંગના રનૌતને દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટી દ્વારા બોલાવવામાં આવી છે. કંગનાને 6 ડિસેમ્બરે બપોરે 12:00 વાગ્યે સમિતિ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો – vibrant gujarat 2021 / વાઇબ્રન્ટ ગુજરાતને લઈ સરકાર થઈ સક્રિય, CM ભુપેન્દ્ર પટેલની દિલ્હીમાં ઉદ્યોગપતિઓ-રાજદૂતો સાથે બેઠક
પોલીસે મંગળવારે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટમાં શીખ સમુદાયનાં અપમાનજનક સંદર્ભોનો ઉપયોગ કરવા બદલ FIR નોંધી છે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) દ્વારા કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યાનાં એક દિવસ બાદ ઉપનગરીય ખાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ઈરાદાપૂર્વક કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા) હેઠળ કંગના રનૌત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે વધુ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ કેસનાં ફરિયાદી સંધુ, સોમવારે ફરિયાદ સબમિટ કરનાર DSGMC પ્રતિનિધિમંડળનો ભાગ હતા.
એક નિવેદનમાં સંધુએ કંગના પર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં પોતાના સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ સબમિટ કર્યા પછી, શિરોમણી અકાલી દળ (SAD) નેતા મનજિંદર સિંહ સિરસાની આગેવાની હેઠળ DSGMC પ્રતિનિધિમંડળ મહારાષ્ટ્રનાં ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલ અને મુંબઈ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને મળ્યા અને કંગના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC) એ રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને અભિનેત્રી કંગના રનૌતને આપવામાં આવેલ પદ્મશ્રી પુરસ્કાર પાછો ખેંચવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો – રાજકીય / રાહુલ ગાંધીએ જાહેર કરેલા કોરોનામાં મોતના આંકડાથી ભડક્યું ભાજપ, જીતુ વાઘાણીએ કહ્યું…
DSGMC અનુસાર, સાંપ્રદાયિક નફરત ફેલાવવા ઉપરાંત, કંગના એક ધાર્મિક સમુદાયને નિશાન બનાવી રહી છે, અને ખેડૂતો અને સ્વતંત્રતા સેનાનીઓનું સતત અપમાન કરી રહી છે. એક શીખ સંગઠને શનિવારે કંગના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત રીતે દેશદ્રોહ અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાષ્ટ્રપતિને લખેલા પોતાના પત્રમાં DSGMC અને શિરોમણી અકાલી દળનાં નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, કંગના 1984નાં શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરીને જાણી જોઈને શીખોને ભડકાવી રહી છે. સિરસાએ કહ્યું, “તે આ સન્માનને લાયક નથી. તે ભારતની મૂળ ભાવનાનું પ્રતિનિધિત્વ કરતી નથી જે સૌ માટે સંવાદિતા અને ભલાઈ પર આધારિત છે. સામાજિક લાગણીઓને ધ્યાનમાં રાખીને, ખેડૂતો, શીખો અને સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવા બદલ કંગના પાસેથી પદ્મશ્રી એવોર્ડ તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ.