તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી, તેણે 1947માં મળેલી આઝાદી ભીખમાં મળી છે તેવું નિવેદન આપતા વિવાદ શરૂ થઇ ગયો છે ,સોશિયલ મીડિયા બાદ હવે પાર્ટીના ઘણા નેતાઓએ એકસાથે કંગના રનૌતનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. તમામ નેતાઓએ રાષ્ટ્રપતિ અને સરકાર પાસે પદ્મશ્રી પુરસ્કાર પરત લેવાની માંગ પણ કરી છે.
કંગના રનૌતે કહ્યું હતું કે 1947માં મળેલી આઝાદી ભીખ હતી, અસલી આઝાદી 2014 પછી જ મળી, જ્યારે દેશનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં આવ્યો.
કંગના રનૌતના નિવેદનની દેશભરમાં નિંદા થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ નિવેદનને ચોંકાવનારું અને આક્રોશજનક ગણાવ્યું હતું. તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમની (કંગના રનૌત) પદ્મશ્રી પરત લેવાની માંગ કરી છે.આનંદ શર્માએ કહ્યું, “કંગના રનૌતનું નિવેદન એ મહાન હિંમતવાન સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન છે જેમનું નેતૃત્વ મહાત્મા ગાંધી, નેહરુ અને સરદાર પટેલ હતા. એટલું જ નહીં, તેમનું નિવેદન સરદાર ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ અને અન્ય ઘણા ક્રાંતિકારીઓના બલિદાનને પણ ઓછું કરે છે.
તેમણે કહ્યું કે આવા પુરસ્કારો આપતા પહેલા પુરસ્કાર મેળવનારનું સાયકો-મેડિકલ મૂલ્યાંકન કરવું જોઈએ જેથી આવી વ્યક્તિઓ રાષ્ટ્ર અને તેના હીરોનો અનાદર ન કરે. બીજી તરફ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કંગનાના નિવેદનને વાહિયાત ગણાવ્યું હતું.
બિહારમાં NDA સાથે ગઠબંધન કરનાર હિન્દુસ્તાની અવમ મોરચાના પ્રમુખ જીતન રામ માંઝીએ કહ્યું કે તમામ ન્યૂઝ ચેનલોએ હવેથી કંગના રનૌતનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દેવું જોઈએ.માંઝીએ રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી કે કંગના રનૌતને આપવામાં આવેલ પદ્મશ્રી તરત જ પાછો ખેંચી લેવામાં આવે. નહીં તો દુનિયા વિચારશે કે ગાંધી, નેહરુ, પટેલ, ભગતસિંહ, કલામ, મુખર્જી, સાવરકરે આઝાદીની ભીખ માંગી હતી.
શિવસેનાના નેતા નીલમ ગોરહેએ કહ્યું કે કંગના રનૌત પર ભારતની આઝાદીને ‘ભિક્ષા’ કહેવા બદલ રાજદ્રોહનો આરોપ લગાવવો જોઈએ. શિવસેનાના નેતાએ કહ્યું કે, રાજદ્રોહની સાથે તેમનો પદ્મ એવોર્ડ પણ રદ થવો જોઈએઆમ આદમી પાર્ટીએ મુંબઈ પોલીસને એક અરજી આપી છે અને કંગના રનૌત વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે. AAPના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પ્રીતિ શર્મા મેનને અભિનેત્રીની ટિપ્પણીને “દેશદ્રોહી અને ઉશ્કેરણીજનક” ગણાવી હતી.