Khalistan target Hindu temple: ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર ઓસ્ટ્રેલિયામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. ખાલિસ્તાની સમર્થકોએ અહીંના વિક્ટોરિયા રાજ્યમાં એક મંદિરમાં કથિત રીતે તોડફોડ કરી છે. એટલું જ નહીં મંદિરમાં ભારત વિરોધી કલાકૃતિઓ પણ બનાવવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, ઓસ્ટ્રેલિયામાં એક હિંદુ મંદિર પર હુમલો થયો છે ત્યારે એક અઠવાડિયાની અંદર આ પ્રકારની ઘટના છે. ત્યાંના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વિક્ટોરિયાના કેરમ ડાઉન્સમાં આવેલા ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં સોમવારે તોડફોડ કરવામાં આવી હતી. તમિલ હિન્દુ સમુદાય દ્વારા ઉજવવામાં આવતા ત્રણ દિવસીય ‘થાઈ પોંગલ’ તહેવાર દરમિયાન શ્રદ્ધાળુઓ દર્શન માટે ગયા હતા ત્યારે ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો.
શ્રી શિવ વિષ્ણુ મંદિરના લાંબા સમયથી ભક્ત ઉષા સેંથિલનાથને આ ઘટનાની નિંદા કરી છે. ઉષાએ જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયામાં તમિલ લઘુમતી જૂથમાંથી આવે છે. તેમણે સમજાવ્યું કે આપણામાંથી ઘણા ધાર્મિક જુલમથી બચવા શરણાર્થી તરીકે અહીં આવ્યા હતા. મંદિરમાં બનેલી ઘટના પર તેણે કહ્યું કે ‘આ મારું પૂજા સ્થળ છે અને આ ખાલિસ્તાન સમર્થકો કોઈપણ ડર વિના તેમના નફરતના સંદેશાઓથી તેને તોડી રહ્યા છે તે મને સ્વીકાર્ય નથી’. ઉષા સેંથિલનાથને માંગ કરી હતી કે મેં પ્રીમિયર ડેન એન્ડ્રુઝ અને વિક્ટોરિયા પોલીસને મંદિર પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ જેઓ વિક્ટોરિયન હિંદુ સમુદાયને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાની હિન્દુ કાઉન્સિલના વિક્ટોરિયા ચેપ્ટરના પ્રમુખ મકરંદ ભાગવતે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. અમારા મંદિરોની તોડફોડ નિંદનીય છે અને વ્યાપક સમુદાય દ્વારા તેને સહન ન કરવી જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું. તો મેલબોર્ન હિન્દુ સમુદાયના સભ્ય સચિન માહતેએ ખાલિસ્તાન સમર્થકોને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે જો આ ખાલિસ્તાન સમર્થકોમાં હિંમત હોય તો તેમણે શાંતિપ્રિય હિંદુ સમુદાયોના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાને બદલે વિક્ટોરિયન સંસદ ભવનમાં ભારત વિરોધી અને હિંદુ વિરોધી ચિત્રો દોરવા જોઈએ. આ ઘટનાની વિક્ટોરિયન લિબરલ પાર્ટીના સાંસદ બ્રાડ બેટિને પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે આપણું ભવિષ્ય કોઈપણ પ્રકારની નફરત પર ન બાંધી શકાય. જે પ્રકારનું વર્તન આપણે અહીં જોઈ રહ્યા છીએ તેના માટે વિક્ટોરિયા કે ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્થાન નથી. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર હુમલાની આ પહેલી ઘટના નથી. અગાઉ 12 જાન્યુઆરીએ મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિરને અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યું હતું. ત્યારે પણ મંદિર પર ભારત વિરોધી ચિત્રો બનાવવામાં આવ્યા હતા. મંદિરના સંચાલક મંડળ BAPS સ્વામિનારાયણ સંસ્થા ઓસ્ટ્રેલિયાએ આ ઘટનાની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું છે.
આ પણ વાંચો: PM Modi/જીવનનો શ્રેષ્ઠ સમયગાળો આવી રહ્યો છે, મહેનત કરવામાં પાછળ ન રહો: PM મોદી
