ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસિલ કરવા માટે કમર કસી છે. દેશ સહિત અનેક પ્રાદેશિક નાના પક્ષોના નેતાઓ અને કાર્યકરો હાલમાં ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. આદિવાસી પટ્ટામાં પણ ભાજપે પગ પેસારો કર્યો છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી-BTPના અધ્યક્ષ મહેશ વસાવા આગામી થોડા દિવસોમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે જો કે આ મુદ્દે હવે મહેશ વસાવા અને તેમના પિતા છોટુ વસાવાના સંબધોમાં ખટરાગ આવી ગયો છે.
એક કાર્યક્રમમાં છોટુ વસાવાએ પુત્ર મહેશ વસાવાના ભાજપમાં જોડાવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે મહેશ નાસમજ છે તેને ભાજપ તેનો ફાયદો ઉઠાવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય. અમે RSSના વિરોધી છીએ પછી મારો પુત્ર ભજપમાં જાય કે બીજો કોઈ જાય અમે વિરોધ કરીશું.લોકસભાની ચૂંટણીને લઇને નિવેદન આપતા છોટુ વસાવાએ કહ્યું કે અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું અને ચૂંટણી પણ ભરૂચ બેઠક પર લડીશું.