ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્ર પર તિરંગો ફરકાવ્યા બાદ સૂર્યની ગરમીને માપવા માટે આજે આદિત્ય L1 લોન્ચ કર્યું છે. હવે ISROની નજર શુક્ર પર છે. શુક્રના રહસ્યો શોધવા માટે ભારત ટૂંક સમયમાં શુક્રયાન-1 (Shukrayaan 1) લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ચંદ્રયાન-3ની સફળતા પર ISROના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ચંદ્રયાન-3 બાદ ભારત સૂર્યની સીમાઓનું રહસ્ય જાણવા આદિત્ય એલ-1 લોન્ચ કરશે અને તે પછી શુક્રયાન-1 લોન્ચ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે,પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. પૃથ્વીથી શુક્ર ગ્રહનું અંતર લગભગ 6 કરોડ કિલોમીટર છે. તેના માટે ISROએ શુક્રયાન-1 મિશનની જાહેરાત કરી છે. શુક્રયાન-1 શુક્ર ગ્રહની ફરતે ચક્કર લગાવી અધ્યયન કરશે.
ભારત સરકારે 2017માં ISROના મિશન વિનસ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. આ સાથે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ પણ વાર્ષિક બજેટ 2017-18માં આનો ઉલ્લેખ કર્યો હતો. અવકાશ વિજ્ઞાન વિભાગ હેઠળ બજેટમાં મંગલયાન-2 અને મિશન શુક્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આપને જણાવી દઈએ કે, ISROના વૈજ્ઞાનિકો મંગળયાન અને ચંદ્રયાનની સફળતાના આધારે શુક્ર માટે યોજનાઓ પર વિચાર કરી રહ્યા છે. ISRO શુક્ર સુધી પહોંચવાના તેના મિશનની તૈયારી કરી રહ્યું છે. જાણકારી અનુસાર જો બધુ બરાબર રહ્યું તો ISRO તેને ડિસેમ્બર 2024માં લોન્ચ કરી શકે છે.
જો શુક્રયાન-1 કોઈ કારણસર 2024માં લોન્ચ ન થાય તો તેને 2026, 2028 અથવા 2031માં લોન્ચ કરી શકાય છે.જોકે, દર 19 મહિને પૃથ્વી અને શુક્ર એકબીજાની સૌથી નજીક હોય છે. જો ભારતનું શુક્રયાન મિશન સફળ થશે તો ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.
વૈજ્ઞાનિકોના મતે અબજો વર્ષ પહેલા શુક્ર અને પૃથ્વી સમાન હતા. પરંતુ સમય જતાં, જ્યાં પૃથ્વી પર જીવન વિકસ્યું, ત્યાં શુક્ર નિર્જન થઈ ગયો. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકો એ જાણવા માગે છે કે જો ક્લાઈમેટ ચેન્જની આવી જ ખરાબ અસર ચાલુ રહેશે તો શું પૃથ્વીની હાલત પણ શુક્ર જેવી નહીં થાય?